સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકો એ મોટો તાલુકો ગણાય છે.આ તાલુકામાં ૮૦ થી વધારે ગામડાઓ આવેલાં છે. હાલ આધારકાર્ડ કઢાવવા લોકો દ્વારા ભારે દોડધામ ચાલી રહી છે. સાવરકુંડલા મામલતદાર કચેરીમાં આધારકાર્ડ કઢાવવા માટે ફક્ત બે ઓપરેટરો કામ કરે છે. આધારકાર્ડ સંબંધિત કામગીરી માટે લોકોની લાંબી લાઈનો લાગેલી હોય છે. અને એવા એવા સંજોગોમાં અમુક લોકોના આધારકાર્ડ સબંધિત કામો થતાં નથી. સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા માટે દસ્તાવેજો સાથે આધાર કાર્ડ ફરજિયાત માંગવામાં આવતું હોય છે. પરંતુ આધારકાર્ડનું સેન્ટર અહીં મામલતદાર કચેરીમાં એક જ જગ્યાએ હોય લોકોને ખૂબ હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ બધા તાકીદના પ્રશ્ર્નોને ધ્યાને લઈને સાવરકુંડલા ભાજપના વિધાનસભા ઉમેદવાર રહી ચૂકેલા તેમજ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી કમલેશ કાનાણીએ લોકોની પરેશાનીને ધ્યાને લઈને પ્રભારી મંત્રી શ્રી મકવાણા, જિલ્લા કલેકટરશ્રી, નાયબ કલેકટરશ્રી અને મામલતદારને ધારદાર રજૂઆત કરી છે અને માંગણી કરેલ છે કે જે તે ગામની ગ્રામપંચાયત, પોસ્ટ ઓફિસ, તાલુકા પંચાયત તથા નગરપાલિકામાં નવા સેન્ટરો શરૂ કરવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે તેમ એક અખબારી યાદીમાં કમલેશ કાનાણીએ જણાવ્યું હતું.
