ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં કોરોનાનાં કેસોનો રાફડો ફાટી નિકળ્યો છે. દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ જિલ્લાને અજગરી ભરડામાં લઈ રહ્યું છે. ત્યારે નાગરિકો પાસે કોરોના ગાઈડલાઈનની અપેક્ષા રાખતાં રાજકીય નેતાઓ જ મેળાવડા યોજીને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપીને જાહેર કાર્યક્રમો યોજી રહ્યા છે. કલોલ તાલુકા ઠાકોર (ક્ષત્રિય) સમાજનાં ભવનના ખાત મુહૂર્ત કલોલ નવ જીવન મિલ કમ્પાઉન્ડ બી ટી મોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, માણસાના ધારાસભ્ય સુરેસભાઈ, વાવના ધારાસભ્ય ગેનીબેન, કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, બહેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર અને ગાયક કલાકાર વિક્રમઠાકોર પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઠાકોર સમાજના ભવનના ખાત મુહૂર્ત પ્રસંગે કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં કોરોના ગાઈડ લાઈનના નિયમોનું છડેચોક ચિરહરણ થયુ હતુ. ઘણાએ માસ્ક પહેર્યા હતા તો ઘણાને માસ્કની જરૂર પણ જણાતી નહોતી. એટલું ઓછું હોય તેમ સોશિયલ ડિસ્ટન્સીનું પણ પાલન નહોતુ થયું.ગાંધીનગર કલોલ તાલુકા ઠાકોર સમાજના ભવનના ખાત મુહૂર્ત પ્રસંગે યોજાઈ રહેલાં કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને ગેનીબેન ઠાકોર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડ્યા હતા. એક તરફ ગ્રામ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું એવામાં ભવનના ખાત મુહૂર્તનાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ભીડ એકઠી થઇ હતી.
