માણાવદર સ્થિત હળમતાળી હનુમાનજી મંદિર આશરે સાડા છસ્સો વર્ષ પુરાણું છે. ઇતિહાસવિદો લખે છે કે અહીં પ્રાચીન સમયે તાળીઓનું વન હોય આ મંદીરનું નામ હડમતાળી પડેલ.
આજે સમગ્ર વિશ્વમાં હનુમાનજીની જન્મ જયંતિ પુરી શ્રદ્ધા અને ભાવપૂર્ણ રીતે ઉજવાઈ રહી છે ત્યારે હળમતાળી હનુમાનજી મંદિરે ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા મારુતિ યજ્ઞ અને ધુમાડા બંધ ભોજન પ્રસાદની ખૂબ સુંદર અને આગવી વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ સાલે આશરે બાર થી તેર હજાર ભક્તો પ્રસાદ ગ્રહણ કરે તેવી સુચારુ વ્યવસ્થા કરવામાં છે. ઉડીને આંખે વળગે એવી બાબત તો એ છે કે આ મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેક ભક્ત એક જ પંગતમાં બેસીને ભાવથી ભોજન કરે છે. આ સામાજિક સમારસ્તાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
વળી સોનામાં સુગંધ જેવી વિશેષતાએ પણ છે કે, અયોધ્યા ખાતે આકાર લઈ રહેલા ભવ્ય રામ મંદિરની કૃતિ રૂપ રથ જૂનાગઢના હરિઓમ ગ્રુપ કે જે જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં અનેક પ્રકારની સેવાકિય પ્રવૃત્તિમાં હંમેશા આગ્રેસર છે, તેના પ્રમુખ દીપેન્દ્રભાઈ યાદવે જૂનાગઢ જિલ્લાનાં દરેક ગામનો સામાન્યમાં સામાન્ય માણસ અયોધ્યા ખાતે આકાર લઈ રહેલા શ્રી રામ મંદિરની પોતાના ગામમાં ઝાંખી કરી શકે તેવા ઉમદા વિચાર સાથે પોતાની સમગ્ર ટિમ સાથે છેલ્લા બે વર્ષની ભારે જહેમત બાદ આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ રથ ધર્મ રક્ષક સમિતિ – માણાવદરના સહયોગથી સમગ્ર માણાવદર તાલુકામાં ફરનાર છે. આજ રોજ આ રથ લોક દર્શન માટે શ્રી હળમતાળી હનુમાનજી મંદિરે રાખવામાં આવેલ છે.
આજરોજ મંદિર ટ્રસ્ટ નાં નિમંત્રણના ભાવ સ્વીકારી અનેક મહાનુભાવો પધારેલ છે જેમાં સામાજિક સદભાવ અને સમરસતામાં પ્રણેતા એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના માનનીય સંઘચાલકજી મુકેશભાઈ મલકાણ, કુમનભાઈ ખુંટ, જીલ્લા સંચાલકજી ભાવેશભાઈ માકડીયા, ગોવિંદભાઈ ડઢાણીયા સાથે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર ઉત્સવની સુંદર વ્યવસ્થા અને આયોજન માટે ટ્રસ્ટના જીતેશભાઈ પનારા, ટ્રસ્ટીમંડળ અને સ્વયંસેવકો તેમજ ધર્મ રક્ષક સમિતિના હેમંતભાઈ ત્રાંબડીયા,પ્રભુદાસભાઈ કનેરીયા,પ્રભુદાસભાઈ ડાભી,પંકજભાઈ બુટાણી,નયનભાઈ પીઠડીયા,રીકેનભાઈ કારડાણી વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


