સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાળાનાં વિશાળ પ્રાંગણમાં આજરોજ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ધોરણ પાંચના બાળકો દ્વારા સમાચાર વાંચન હિંદીમાં કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી તથા હર્ષદભાઈ જોશી દ્વારા શાળાના બાળકોને ગ્રાહક સુરક્ષા સંબંધિત બાબતોથી વાકેફ કરવામાં આવેલ. શાળાનાં આચાર્ય શ્રી ગીરીશભાઈ વ્યાસ દ્વારા આમંત્રિત મહેમાનોનો આછેરો પરિચય અને ગ્રાહક જાગૃતિ ઝૂંબેશ વિશે પ્રાથમિક વાતો કરવામાં આવેલ. આ તકે શાળાના આચાર્ય ગિરીશભાઈ વ્યાસ શાળાના કર્મચારી કૌશિકભાઈ ગોસ્વામી તથા કર્મચારી ગણ દ્વારા ઉપસ્થિત તમામ ગ્રાહક સુરક્ષા મંડળના સભ્યોનું પુષ્પગુચ્છ અને પેન અર્પણ કરીને હાર્દિક સ્વાગત કરવામાં આવેલ. સમગ્ર વક્તવ્ય દરમિયાન વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતી આપવામાં આવેલ. જેવી કે કોઈ પણ ખરીદી સમયે પાકા બિલનો આગ્રહ રાખવો. ઓનલાઈન છેતરપિંડીથી સાવધાન રહેવું. કોઈ પણ ચીજ વસ્તુઓની ખરીદતી વખતે તેની મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેઈટ જાણવી. વસ્તુઓ ખરીદતી વખતે એના સ્ટાન્ડર્ડ માનાંકોને ધ્યાનમા લેવા. આભૂષણો કે કિમતી ચીજવસ્તુઓ ખરીદતી વખતે પાકા બિલમાં ગેરંટી વોરંટીનો સ્પષ્ટ ઉલ્લેખ કરાવવો. અને એ પાકા બિલને સંભાળીને સાચવવું. ઓનલાઈન ફ્રોડથી બચવા બિનઅધિકૃત લીંક કદી શેર ન કરવી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેસર રોડ સાવરકુંડલાના તમામ કર્મચારીઓએ સખત મહેનત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ પૂર્ણ શિસ્ત અને શાંતિ જાળવી હતી અને આ કાર્યક્રમને રસથી માણ્યો હતો.
એકંદરે સાવરકુંડલા શહેરમાં હવે શાળાના બાળકો પણ જાગૃત થશે એ વાત નિર્વિવાદ છે. અંતમા આભારવિધી શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવેલ હતી. શાળાના આચાર્યશ્રી ગીરીશભાઈ વ્યાસ તથા સમગ્ર કર્મચારીગણ દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળના તમામ સભ્યોનું હાર્દિક શાહી સ્વાગત કર્યું હતું. આ તકે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પણ શાળાના અનુશાસન અને શિસ્તબદ્ધ વ્યવસ્થાની ધ્યાનપૂર્વક નોંધ લીધી હતી.


