સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
એક તો બળબળતો ધોમધખતો તડકો અને ઉનાળાનો પ્રખર સમય એવી પરિસ્થિતિમાં ખાસકરીને ગરીબ વર્ગના લોકો કોઈ મુસાફરી કરીને આવતાં કે જતાં હોય અથવા તો કોઈ કામધંધે બહાર ગયા હોય, રસ્તામાં આ પ્રખર ગરમીનાં તાપમાં તરસ તો લાગે અને ગળુ પણ સુકાઈ. આવી પરિસ્થિતિમાં બઝારમાં મળતાં બસો મિલી પાણીના પાઉચ પણ જેને માટે આ કાળઝાળ ગરમીમાં અને કાળઝાળ મોંઘવારીમાં ખરીદીને તૃષા છીપાવવી ખરેખર વસમી હોય છે. તેવા જરૂરિયાતમંદ લોકો માટે પાણીના પરબો અમીનો ઓડકાર સમા ગણાય. પહેલાંનાં જમાનામાં એટલે કે આજથી ત્રીસ ચાલીશ વર્ષ પહેલાં તો શહેર હોય કે ગામડું કે શહેરનો સીમાડો કે ગામની સીમ જીવદયા પ્રેમીઓ ઠેર ઠેર પાણીના પરબ બંધાવતાં જોવા મળતાં. હાલના સમયમાં શહેરની રીયાલિટી ચેક કરતાં ખૂબ ગણ્યાં ગાંઠ્યાં પાણીનાં પરબો જોવા મળે છે. અહીં સાવરકુંડલા શહેરના જૂના બસ સ્ટેન્ડ, નદી બઝારમાં રજકાપીઠ પાસે એસ ટી. ડેપો પાસે તથા હાથસણી રોડ પર એકાદ પાણીનું પરબ જોવા મળેલ શહેરનાં અન્ય વિસ્તારોમાં પણ ગણ્યા ગાંઠ્યા પાણીના પરબ હશે.. આમ યુગ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ વૃધ્ધાશ્રમો અને હોસ્પિટલો વધતી જાય છે. પરંતુ પાણીના પરબ આજકાલના આધુનિક હાઈટેક ફાઈવ જી ના યુગમાં પાણીના પરબો ભાગ્યે જ જોવા મળે છે એ નસીબની બલિહારી નહીં તો બીજું શુ હોય શકે..!! આ તો સાવરકુંડલા શહેરને પાણીની સમસ્યા હલ કરવા માટે ગુજરાત સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે સાવરકુંડલાના શહેરીજનોના હિતાર્થે પાણી પુરવઠા માટે રૂ. ૮.૫૩ કરોડના યોજનાકીય કામોને મંજૂરી આપવાના સમાચાર હાઈલાઈટ થયાં એટલે યાદ આવ્યું જો કે આ યોજના થકી સાવરકુંડલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણીને લાગતા અનેક કામો સરળ અને સહજ બની જશે. ૮.૫૩ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે એ વિષય મુદે પાણીનાં એ પરબોની યાદ આવી એટલે લખ્યું.. બાકી આગળનો યુગ પાણીની બચત અને સમજપૂર્વક નો ઉપયોગ કરવાનો છે. આશા છે આ પાણી યોજનામાં આવા પાણીના પરબ પણ સમાવિષ્ટ થાય તો રસ્તા પર જતા આવતાં જરૂરિયાતમંદ લોકો પાણીથી પોતાની પ્યાસ બુઝાવી શકે.. આમ પાણીના પરબનો સમાવેશ સામાજિક દાયિત્વની ભાવના સાથે કરવામાં આવે તો સમરસતાનો સંકલ્પ વધુ મજબૂત બની શકે.

