બોરસદ
બોરસદ શહેરમાં તારીખ ૩૦મી જૂનની એકધારો ૧૨ ઇંચ વરસાદ ખાબકતા શહેરના વનતળાવ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા તે સમયે પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને અને પશુઓને બચાવીને તરાપામાં બેસાડી સલામત સ્થળે ખસેડવામાં સ્થાનિક ગોરધનભાઈએ પ્રમુખ ભૂમિકા ભજવી હતી અને રાત્રીથી લઇ સવાર સુધી તરાપો ચલાવી લોકોને બચાવ્યાં હતાં જેને લઇ આ વિસ્તારની મુલાકાતે આવેલા જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીએ ગોરધનભાઈની પીઠ થપથપાવી તેઓને શાબાસી આપી હતી અને તેઓની સાથે ફોટો પડાવ્યો હતો ત્યારે બીજા દિવસે મહેસુલ મંત્રી રાજેન્દ્રસિંહ ત્રિવેદી આ વિસ્તારની મુલાકાત લેવા આવનાર હોઈ પૂર્વ ધંધાની અવેજીમાં બોરસદ શહેર પોલીસના બે કર્મીઓએ પોલીસ અધિકારીની સૂચનાથી સવારે ગોરધનભાઈની તેઓના ઘરેથી ગેરકાયદેસર રીતે અટકાયત કરી તેઓને પોલીસ મથકે ગોંધી રાખ્યા હતા જે અંગે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારે દેવીપૂજક સમાજે બન્ને પોલીસ કર્મીની જિલ્લા બહાર બદલી કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી તેમજ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને લઇ ન્યાય મેળવવા માટે આજથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સોમવારે સવારે વનતળાવ વિસ્તારમાં દેવીપૂજક સમાજના ૩૦ જેટલાં પુરુષો અને મહિલાઓએ પોલીસ દ્વારા કરવામાં આવેલ દમનને લઇ ન્યાયની માંગ સાથે ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે અને તેઓને ન્યાય મળે તેવી માંગ કરી હતી.

