રાજકોટ
રાજકોટના રૈયાધાર વિસ્તાર નજીકના સર્વે નં.૩૧૮ના પ્લોટ નં ૬૫/૨ની સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા ૧૫ જેટલા કાચા-પાકા મકાનો તથા ૫ જેટલા ઝુંપડાઓ તથા નવું નિર્માણ પામી રહેલા બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સર્વે નં.૩૧૮માં રૈયાથી ધંટેશ્વર જવાના ૪૦ ફુટના રોડ ઉપર આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. તેમજ સર્વે નં.૩૧૮ માં રૈયાધાર નજીક આવેલ સરદાર ચોક પાસેના ઝુંપડા અને અડધું બાંધેલુ મકાન તોડી પાડીને જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ વિસ્તારમાં અન્ય ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા નોટીસ પાઠવવામાં આવી છે. અંદાજીત ૧૦ હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.રાજકોટમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ રૈયાથી ધંટેશ્વર જવાના રોડ પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું. જ્યાં ૧૫ મકાન અને ૫ ઝુંપડા તોડી પાડી સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરી ૧૦ હજાર ચો.મીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી. આ મુદ્દે રાજકોટ પશ્ચિમના મામલતદાર જાનકી પટેલે જણાવ્યું હતું કે,ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ થાય તો દબાણકર્તા વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-૨૦૨૦ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે.


