વડોદરા
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી ૭ વર્ષની વ્યાખ્યા દેસાઇએ ૧૨,૫૦૦ ફૂટની ઊંચાઇએ આવેલા કેદારકંઠ શિખરને સર કર્યું હતું. આ સિદ્ધિ મેળવનારી ગુજરાતની સૌથી નાની વયની વિદ્યાર્થિની બની ગઇ હતી. તેના પિતા આદિત્ય દેસાઇ અને માતા ઊર્વિ દેસાઇ સહિતના અન્ય ૪૦ જેટલા પર્વતારોહકોની ટીમ સાથે તેણે આ સિદ્ધિ મેળવી હતી. તેના પિતા આદિત્ય દેસાઇને વર્ષોથી પર્વતારોહણનો શોખ છે. તેથી વ્યાખ્યા ૫ વર્ષની થઇ ત્યારથી તેને તેઓ પોતાની સાથે ટ્રેકિંગ પર લઇ જતા હતા. ૨૭મી ફેબ્રુઆરીએ સવારે ૬.૩૦ વાગ્યાથી આરોહણ શરૂ કરીને ૧૧.૩૦ વાગ્યે ગાત્રો ગાળી નાખતી માઇનસ ૫ ડિગ્રી સે. જેટલી ઠંડી અને બર્ફિલા પવનોની વચ્ચે બાળકીએ આ શક્ય બનાવ્યું હતું. ‘કેટલીકવાર બરફમાં ઘૂંટણ સુધી પગ ખૂંપી જતો હતો, તેમ છતાં અમે ટ્રેકિંગ ચાલુ જ રાખ્યું હતું. કુલ ૩ દિવસના ટ્રેકિંગમાં પહેલા ૨ દિવસ ખૂબ જ મુશ્કેલ હતા. આ ટ્રેકિંગ દરમિયાન ૬ કિમી જેટલું અંતર બરફમાં કાપવાનું હોય છે. તેના પિતાએ જણાવ્યું હતું કે, ‘સામાન્યતઃ સંસ્થાઓ ૧૫ વર્ષથી ઓછી વયના પર્વતારોહકોને આવા ટ્રેકિંગમાં લઇ જતી નથી, પણ વ્યાખ્યાની ફિટનેસ અને ઉત્સાહ જાેઇને તેમણે મંજૂરી આપી હતી.’ર્ વ્યાખ્યાએ અગાઉ પણ રાજપિપળાનાં ડુંગરોથી માંડીને ડેલહાઉસીના સંખ્યાબંધ ટ્રેકિંગ કર્યા છે. તેના પિતા સાથે દરરોજ એક કલાક સુધી સાંજે પગના પંજા પર દોડવાની પ્રેક્ટિસ કરે છે. આ ઉપરાંત પર્વતારોહકને જરૂરી તમામ કસરતો પણ કરે છે, જેથી તેની ફિટનેસ જળવાઇ રહે છે.
