જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ વિશે ગામ લોકોને પૂરું પાડ્યું માર્ગદર્શન
——–
નર્મદા જિલ્લા વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હાલમાં ૭૩માં વન મહોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ડેડીયાપાડા તાલુકામાં ગંગાપુર ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં ૭૩માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામલોકોને વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મીની કાશ્મીર તરીકેની ઓળખ ધરાવતા નર્મદા જિલ્લામાં ચોમાસા દરમ્યાન વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ ડેડીયાપાડા તાલુકાના લોકોને અનુરોધ કરતા સરગવાનો છોડ અને તેના પાન-સ્ટિક ખૂબજ આરોગ્ય પ્રદ હોય તેનું પણ વધુમાં વધુ વાવેતર કરવામાં આવે તે માટે તેનું વિતરણ કરવા માટે વન વિભાગને સુચન કર્યુ હતું.
દેડિયાપાડા ડીયાપાડા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ગંગાપુર ગામે યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને અન્ય મહાનુભાવોએ હાજર રહી પર્યાવરણ અને વન પ્રત્યે જનજાગૃતિ માર્ગદર્શન આપી વૃક્ષારોપણ કર્યું હતું. આ અવસરે કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને કલમી આંબાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ નર્મદા જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રી જે. એ. સોલંકી, દેડીયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી માધવસિંહ તડવી, જામની ગૃપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી માનસીંગભાઈ, ડેપ્યુટી સરપંચશ્રી ઉત્તમભાઈ, સગાઈ રેન્જના આર.એફ.ઓ ઉન્નતિબેન, ફુલસર રેંજના આર.એફ.ઓ તેમજ દેડીયાપાડા તાલુકાના સામાજિક વનીકરણ અને વન વિભાગના કર્મચારીશ્રીઓ તેમજ દેડીયાપાડા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


