ભુજ
ભૂકંપ બાદ પડી ભાંગેલું કચ્છ રાજ્ય, કેન્દ્ર સરકાર અને ખાનગી એકમો સહિતના આયામોના બળે પ્રગતિની રફ્તાર દ્વારા નવ નિર્માણ પામી આધુનિક સુવિધાઓથી સજ્જ બની ગયું છે. ખાસ કરીને માર્ગોની વાત કરવામાં આવે તો એક સમયના ધૂળિયા માર્ગ હવે ભૂતકાળ બની ગયા છે. તેમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેના ભાગરૂપે ભુજ ખાવડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૪૧ નવ નિર્માણ સાથે આકાર પામ્યો છે. અહીં પણ હવેથી પસાર થતા વાહનોને ટોલ ટેક્સ ભોગવવો પડશે. જાે કે જાહેર સુવિધાઓ બદલ લોકોના ખર્ચમાં પણ વધારો થવા પામ્યો છે. હાલ કચ્છમાં સુરજબારી, સામખીયાળી, મૉખા, લાખોન્ડ અને શિકરા પાસે ટોલ પ્લાઝા આવેલા છે.ભુજ તાલુકાના ભીરંડીયારા પાસે આકાર પામી રહેલા ટોલ ટેક્સની કામગીરી હવે પૂર્ણતા ભણી પહોંચી છે. જેને લઈ આગામી સમયમાં અહીંથી ખાવડા તરફ આવાગમન કરતા વાહન ધારકોને ટોલ ટેક્સ ચૂકવવો પડશે. સાથે જ આગામી રણોત્સવમાં આવનાર પ્રવાસીઓના વાહનોને પણ સફેદ રણ સિવાયનો વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. જાે કે હજુ સુધી ક્યાં વાહન પાસે કેટલો ઋણ લેવામાં આવશે તે દર્શાવાયું નથી. પરંતુ નેશનલ હાઇવે ૩૪૧ પર પસાર થતા જીપ, બસ અને ભારે વાહનો પાસેથી ટેક્સ લેવાના સાઈન બોર્ડ લાગી ગયા છે. હાલ કચ્છમાં પાંચ સ્થળે ટોલ પ્લાઝા આવેલા છે જેમાં એકનો વધારો થવા જઈ રહ્યો છે.
