અકસ્માતગ્રસ્ત યુવકને પાયલોટીંગ વાનમાં જ હોસ્પિટલમાં મોકલાવ્યા.
રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર છોટાઉદેપુર ખાતે સખીમંડળની બહેનો માટે આયોજીત કેશ ક્રેડિટ અને સી.આઇ.એફ વિતરણ કાર્યક્રમમાં પધાર્યા હતા. કાર્યક્રમ બાદ તેઓ નસવાડીના ગઢબોરિયાદ ગામે પુલના લોકાર્પણ કાર્યક્રમમાં જવા માટે નિકળ્યા હતા. છોટાઉદેપુર કવાંટ રોડ પર ગાબડીયા ચોકડી ખાતે એક અકસ્માતગ્રસ્ત યુવાન રોડની સાઇડમાં પડ્યો હતો. આ અકસ્માતગ્રસ્ત યુવાનને જોઇ મંત્રી નિમિષાબેન સુથારે પોતાની ગાડી ઉભી રાખી યુવાન પાસે પહોંચી જઇ યુવાનને સાંત્વના પાઠવી હતી. તેમણે તેમની સાથે રહેલી પાયલોટીંગ વાનમાં યુવાનને સારવાર અર્થે લઇ જવાની સૂચના આપી હતી. વધુમાં તેમણે તેમના કાફલા સાથે ઉપસ્થિત રહેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એમ.આર.ચૌધરીને અકસ્માતગ્રસ્ત યુવાનની સારવારની જરૂરી વ્યવસ્થા કરી રિપોર્ટ આપવા માટે જણાવ્યું હતું.
મંત્રીના આ માનવતાભર્યા અભિગમની અકસ્માત સ્થળે હાજર સૌએ સરાહના કરી તેમના માનવતાભરી કામગીરીને બિરદાવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


