જામનગર તા ૨૦જૂન, જામનગરની પુરાતત્વીય સંગ્રહાલય કચેરી (લાખોટા કોઠો) દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિષયવસ્તુ અંતર્ગત ‘આદિત્ય સ્વરોદય સંધ્યા’ પ્રવૃત્તિનું વિશ્વ સંગીતનું આયોજન આવતીકાલે મંગળવારે 21 જૂનના સાંજે 7 કલાકે મહાનગરપાલિકાના ટાઉનહોલમાં યોજવામાં આવશે.
જામનગરમાં ૧૯મી સદીમાં સ્થાપિત આદિત્યરામ ઘરાનાની ગાયકી અને વાદન શૈલી હજુ પણ જીવંત છે. આ ઘરાનાની ખાસિયતથી લોકો જાણકારી મેળવી જીજ્ઞાશા કેળવે તો જામનગરની આ વિસરાતી વિરાસતને વ્યાપકપણે વેગ મળી શકે.
આદિત્ય કલા ભારતી દ્વારા સંચાલિત સંગીત સાધના કલાવૃંદ દ્વારા આદિત્ય ઘરાનાની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ સંગીત સમારોહમાં જામનગરના જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી મુખ્ય અતિથિ વિશેષ તરીકે, તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર એલ. ખરાડી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
વિશ્વ સંગીત દિવસના રોજ નગરની જનતા જનાર્દનને જામનગરની અમુલ્ય વારસાની અનુભૂતિ માટે જામનગરની પુરાતત્વીય સંગ્રહાલય કચેરી (લાખોટા કોઠો રણમલ તળાવ) ના ક્યુરેટર બુલબુલબેન હિંગળાજીયા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
