Gujarat

દો બુંદ જિંદગી કી: ૧૮મી સપ્ટેમ્બરે પોલીયો રવિવાર

જૂનાગઢ જિલ્લામાં ૧.૨૮ લાખ પોલીયો રસીના ડોઝની ફાળવણી

જિલ્લામાં ૦ થી ૫ વર્ષનો એક પણ  બાળક દો બુંદ” થી વંચિત ન રહે તે માટે ૧૧૭૭ ટીમની રચના

જિલ્લામાં ૭૫૭ બુથ પર રસી પીવડાવવાશે: રસીકરણ માટે ૧૧૭ રૂટ નક્કી કરાયા

જૂનાગઢ તા.૧૩    જૂનાગઢ જિલ્લામાં ૧૮મી સપ્ટેમ્બરે (રવિવાર) ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જિલ્લામાં ૧.૨૮ લાખ જેટલા પોલિયો રસીના ડોઝ ફાળવી દેવામાં આવ્યા છે. આમ, ૦ થી ૫ વર્ષનું એક પણ બાળક ”દો બુંદ” થી વંચિત ન રહે તે માટે કુલ-૧૧૭૭ જેટલી ટીમની રચના કરવામાં આવી છે.

     કલેકટર કચેરી ખાતે આ સંદર્ભે નિવાસી અધિક કલેકટર શ્રી એલ. બી. બાંભણિયાના વડપણ હેઠળ મળેલી બેઠકમાં પોલિયોની રસી ૦ થી ૫ વર્ષના બાળકોને સુલભતાથી ઉપલબ્ધ થાય તે માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

     જૂનાગઢ જિલ્લામાં ૧૮મી સપ્ટેમ્બરે ૭૫૭ જેટલા બુથ ઉપર પોલિયોની રસી આપવામાં આવશે. ત્યારબાદ તા.૧૯ તથા ૨૦ સપ્ટેમ્બરના  રોજ ડોર- ટુ – ડોર પોલિયોની રસી આપવા આવશે. જાહેર સ્થળો અને વાડી વિસ્તારમાં પણ પોલિયોની રસી આપવા માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે.

   આ બેઠકમાં પોલિયોની રસીની અગત્યતા વિશે CDHO ડો. સંજયકુમાર અગ્રવાલએ વિસ્તૃત છણાવટ કરી હતી. RCHO ડૉ. મનોજ સુતરીયાએ પોલિયોની રસી આપવાના આગોતરા આયોજન સંદર્ભે પ્રેજન્ટેશન રજૂ કર્યું હતું

ઉલ્લેખનીય છે કે, ભારતને વર્ષ-૨૦૧૪માં પોલિયો મુક્ત ઘોષિત કરવામાં આવ્યું હતું. પરંતુ પડોશી રાષ્ટ્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં પોલિયોનો કેસ જોવા મળી રહ્યા છે. જેથી અગમચેતીના ભાગરૂપે કેન્દ્ર- રાજ્ય સરકાર પોલિયોની રસી આપવા પર ભાર આપી રહી છે.

    આ બેઠકમાં જિલ્લા-તાલુકા કક્ષાના આરોગ્ય અધિકારીઓ- તબીબો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *