ભરૂચ
ભરૂચના શક્તિનાથ પાસે ભરૂચ-દહેજ રેલવે ટ્રેક પાસે મૂળ દાહોદના અને હાલમાં અયોધ્યા નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા મજૂરી કરી ગુજરાન ચલાવતા બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. ૩૫ વર્ષીય રાકેશ ચંદુ માવી અને ૨૬ વર્ષીય ચંદરૂ કાલજી પરમારના મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં રેલવે ટ્રેકની બાજુમાંથી મળી આવ્યા હતા. મજૂરી કામ કરી સાંજથી ગુમ થયેલા બંને યુવાનની લાશનો ભરૂચ રેલવે પોલીસે કબજાે મેળવી સિવિલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છે. હાલ તો રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. જાે કે પી.એમ. રિપોર્ટ બાદ હત્યા, આંતરિક ઝઘડો કે રેલ અકસ્માતનું ચોક્કસ કારણ બહાર આવી શકે તેમ છે.ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પાસે ૨ યુવાનોના મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. જેમાં આ યુવકોની હત્યા થઇ, આંતરિક ઝઘડો થયો કે ટ્રેન અકસ્માત? એ અંગે ઘેરાયેલા રહસ્યનો તપાસ બાદ જ ખુલાસો થઈ શકશે.
