દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવાનને પોતાના સગા સાળાઓએ પૈસાની લેતી દેતી બાબતે કુહાડાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ બનવા પામ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા પોલાભાઈ રાજાભાઈ સાદીયાને તેમના સાળાઓ સાથે પૈસાની લેતી-દેતી નીકળતી હતી. આ સંદર્ભેના મનદુઃખ બાદ પાલાભાઈને તેમના સાળા એવા ગોવિંદ નથુ ખરા અને અરવિંદ નથુ ખરા સાથે સાંજે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા અરવિંદ તથા ગોવિંદે પોલાભાઈ ઉપર કુહાડી વડે હુમલો કરી દેતા લોહી લુહાણ હાલતમાં પોલાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવવા અંગે રાત્રે પોલાભાઈના પત્ની સોમીબેન સાદીયાએ ભાણવડ પોલીસ મથકમાં પોતાના ભાઈઓ ગોવિંદ તથા અરવિંદ સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ બનાવની જાણ થતા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભાણવડના પીએસઆઇ પી.ડી. વાંદા તથા તેમની ટીમે તાકીદના પગલાં લઈ આરોપીઓની અટકાયત સહિતની કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામેલા પાલાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ બનાવ અંગે નાના એવા રાણપુર ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.


