લખતર
તા.૨૧-૬-૨૨ને તાલુકાનાં વિઠ્ઠલગઢ, જ્યોતિપરા બાજુના વિસ્તારમાં ભારે પવન સાથે વંટોળ ફૂંકાયો હતો. જેના કારણે આ વિસ્તારના અંદાજે ૧૮ વીજ થાંભલાઓ પડી ગયા હતા. અને વીજ ટાવર પણ પડી ગયો હતો. વીજ થાંભલો પડતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ અંગે યુજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.બી.પટેલે જણાવ્યું કે લખતર તાલુકાના વિરમગામ યુજીવીસીએલના તાબામાં આવેલા તમામ ગામોને વીજપોલથી નુકશાન થયું છે. તેમજ તાલુકાના ૧૨ ગામોને અસર થઈ છે.લખતર પંથકના વિરમગામ બાજુના રોડ ઉપર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી દીધી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. તો આ વાવાઝોડાના કારણે ૧૮ વીજથાંભલા પડવાથી વીજળી ગુલ થઈ જતાં ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ્ટ છવાઈ ગયો છે. ઘર, દુકાનો તેમજ વી મોટા પ્રમાણમાં નુકશાન પહોચ્યું છે. તંત્ર દ્વારા પણ તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરી હતી. ચોમાસાનાં શરૂઆતના વરસાદે જ ભારે વાવાઝોડા સાથે લખતર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તબાહી સર્જી હોવાની માહિતી જાણવા મળી હતી.
