વલસાડ
વલસાડ જિલ્લામાં તમામ પીએચસી અને સીએચસી કેન્દ્રો ખાતે એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવા ૧૮ એમ્બ્યુલન્સના લોકાર્પણનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમમાં રાખવામાં આવ્યો હતો. રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામા આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી નરેશ પટેલ અને રાજ્ય કક્ષાના પાણી પુરવઠા,નર્મદા જળ સંપત્તિ, મત્સ્યોદ્યોગ અને કલ્પસર વિભાગના મંત્રી જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દરેકના આરોગ્યની ચિંતા કરી સારામાં સારી સારવાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપી રહી છે. આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પણ ખાનગી હોસ્પિટલોને ટક્કર મારે તેવા બની રહ્યા છે. પહેલા સરકારી દવાખાનામાં ડોક્ટરો અને સ્ટાફની ઘટ રહેતી આજે તમામ જગ્યા ભરાયેલી છે. આજે જે ૧૮ એમ્બુલન્સનું લોકાર્પણ થઈ રહ્યું છે તેમાં જિલ્લા વિકાસ અધિકારી ગુરવાનીનું મહત્વનું યોગદાન છે. તેમણે સરકારની વિવિધ યોજનાઓ હેઠળની ગ્રાંટમાંથી એમ્બ્યુલન્સો ખરીદી છે. આવુ પ્રશંસનીય કાર્ય ભાગ્યે જ કોઈ જિલ્લા વિકાસ અધિકારી કરતા હોય છે. જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીએ જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં સામુહિક આરોગ્ય કેન્દ્રો પર એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિવિધ યોજના હેઠળ ગ્રાંટમાંથી પારદર્શક વહીવટ સાથે ૨૩ એમ્બ્યુલન્સ ખરીદવાનું કાર્ય પાર પાડ્યું છે. જેમાંથી આજરોજ ૧૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. બાકી રહેલી ૫ એમ્બ્યુલન્સની ડિલિવરી જિલ્લાને ટૂંક સમયમાં મળશે. કાર્યક્રમના અંતે મંત્રીઓના હસ્તે લીલી ઝંડી આપી ૧૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું.


