સુરત
સુરત પાલિકાએ ડ્રાફ્ટ બજેટ ૨૦૨૨-૨૩માં ૧૦ લાખથી વધુ અને ૨૫ લાખ સુધીના ફોરવ્હીલર વાહનો પર ૧ ટકા અને ૨૫ લાખથી વધુના ફોરવ્હીલર વાહનો પર ૦.૫ ટેક્સ વધારો ઝીંક્યો છે. જેથી વર્ષે દહાડે ૧૦થી ૧૨ કરોડની વધુ આવક પ્રાપ્ત થશે. શહેરમાં ચાલુ નાણાકીય વર્ષમાં ૧૯ હજાર કાર વેચાઇ છે, જેમાં ૧૦ લાખ સુધીની ૧૩૦૭૨ છે. ૧૦ લાખથી વધુ અને ૨૫ લાખ સુધીની ૪૩૨૧ અને ૨૫ લાખથી વધુની કિંમતની ૫૧૪ કાર છે. માર્ચ સુધીમાં વધુ નવી ૪ હજાર કાર વેચાશે. આમ વર્ષે ૨૩ હજાર કાર વેચાવાનો અંદાજ છે. વેચાણના આ આંકડા પરથી પાલિકાને વ્હીકલ ટેક્સમાં વધારો થતાં વર્ષે ૧૦ કરોડથી વધુની આવક થવાનો અંદાજ છે. વર્ષ ૨૦૨૦-૨૧ની સરખામણીએ ૨૦૨૧-૨૨માં ઓટો સેક્ટરમાં તેજી છે. ૨૦૨૦-૨૧માં લોકડાઉનને કારણે મંદી હતી. આ વર્ષે કુલ ૮૪ હજાર જ નવા વાહનો ખરીદાયા હતા અને વ્હીકલ ટેક્સ થકી પાલિકાને ૫૯ કરોડની આવક થઇ હતી. જ્યારે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ૯૯ હજાર વાહનો ખરીદાયા છે અને વ્હીકલ ટેક્સ રૂપે ૭૩ કરોડ મળ્યા છે. હજુ ૨ મહિના બાકી છે ત્યારે ૧૦થી ૧૨ કરોડ વધુ મળી કુલ આવક ૮૫ કરોડને પાર થઈ શકે છે. આમ ગત વર્ષ કરતા મનપાને ચાલુ વર્ષે ૨૫ કરોડ વધુ મળશે. હાલ ૨૦ લાખ સુધીના ફોરવ્હીલરમાં કિંમતના ૨.૫ ટકા વ્હીકલ ટેક્સ વસુલાય છે. જાે કે, બજેટમાં ૧૦ લાખથી વધુ અને ૨૫ લાખ સુધીના વાહનો માટે ૩.૫ ટકા ટેક્સ મુકાયો છે. જ્યારે ૧૦ લાખ સુધીના વાહનો માટે ૨.૫ ટકા ટેક્સ છે. ઉપરાંત ૨૫ લાખથી વધુના વાહનો પર ૪ ટકા ટેક્સ મુકાયો છે. જે હાલમાં ૩.૫ ટકા છે. હવે પાલિકાની સામાન્ય સભામાં આ વ્હીકલ ટેક્સમાં વધારો મંજૂર થયા બાદ ૧ એપ્રિલ, ૨૦૨૨થી નવો વ્હીકલ ટેક્સનો રેટ લાગુ પડશે.


