સરકારશ્રીની કલ્યાણકારી યોજનાના લાભો ૧૧ લાભાર્થીઓને એનાયત કરાયા : રોજગારી આપવા ૪ એજન્સીઓ દ્વારા ૪૭ મહિલાઓની પ્રાથમિક પસંદગી
ગિરગઢડા
ભરત ગંગદેવ
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રામમંદીર ઓડીટોરીયમ હોલ, સોમનાથ ખાતે “મહિલા સ્વાવલંબન દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાના લાભો ૧૧ લાભાર્થીઓને એનાયત કરાયા હતા. તેમજ એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યોરન્સ, રીલાયન્સ નીપોન લાઇફ ઇન્સ્યોરન્સ, એલ.આઇ.સી. અને જે.એન.એચ. ઇન્સટુમેન્ટ લીમીટેડ આ ચાર એજન્સીઓ દ્વારા રોજગારી આપવા ૪૭ મહિલાઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
સમાજમાં દિકરી તેમના પગ પર ઉભવા સક્ષમ બની છે. તેમ જણાવતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ જણાવ્યું હતું કે, મહિલાઓમાં જાગૃતિ આવવાની સાથે સમાજની દિકરીઓએ ઉચ્ચઅભ્યાસ તરફ તેમનું ઘ્યાન કેન્દ્રીત કર્યું છે. મહિલાઓ માટે સરકાર ખુબજ સંવેદનશીલ હોવાની સાથે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. મહિલાઓએ મોટાભાગના ક્ષેત્રમાં તેમનું યોગદાન આપી તેમની આગવી ઓળખ ઉભી કરી છે. અવકાશ સફળ થી લઈ મહિલાઓ સૈન્યમાં પણ જોડાઈ દેશ સેવામાં ફરજ બજાવી રહી છે. તેમ તેઓ એ વધુમાં ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં નાયબ નિયામક અનુ.જાતિ આનંદબા ખાચરે જણાવ્યું કે, મહિલાઓમાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર લાવવાની જરૂરીયાત છે તેમ કહી મહિલાઓ સમાજમાં પણ ખુબ સારી રીતે જીવી રહી છે એમ જણાવ્યું હતું. દિકરી વ્હાલનો દરિયો છે. દિકરીઓ અભ્યાસ કરી વ્યવસાય, નોકરી અને સમાજમાં તેમના પગ પર ઉભવા માટે મજબુત બની છે. રોજગાર કચેરીના રામભાઇ અને એસ.બી.આઇ. એજન્સી દ્વારા અનુબંધન પોર્ટલ, લાઇફ શક્તિ પ્રોજેક્ટ સહિત રોજગારલક્ષી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત કાર્યક્રમમાં મહિલાલક્ષી યોજનાઓની માહિતી પુસ્તિકા, પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે શાબ્દીક સ્વાગત દહેજ પ્રતિબંધ અધિકારી આર.એમ.જીંજાલા, આભારવિધિ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વાઘેલાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય દિપક નિમાવતે કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ.જે.ખાચર, મહિલા અભયમ ટીમ, પી.બી.એસ.સી. ટીમ સહિત બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.

