મુંબઈ
હાલ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ભારતીય ટેસ્ટ બેટ્સમેન અજિંક્યા રહાણેએ જણાવ્યું કે, તેને પગના સ્નાયુની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થતા બે મહિનાનો સમય લાગી શકે છે. તાજેતરમાં જ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા રહાણે ઈજાગ્રસ્ત થયો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર રહાણેને ટીમની ૧૨મી મેચમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ તે બાકીની બે મેચ રમી શક્યો નહતો. રહાણેએ એક નિવેદનમાં જણાવ્યું કે, તે ઈજા દુર્ભાગ્યપૂર્ણ હતી. મારી સારવાર સારી રીતે ચાલી રહી છે. હું બેંગ્લોર સ્થિત એનસીએમાં હતો અને મારી રિકવરી સારી છે. હું વધુ રિકવરી માટે ફરી ત્યાં જવાનો છું. હું વધુ સારો દેખાવ કરવા ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છું. ઝડપથી ફિટ થઈને હું મેદાનમાં પરત ફરવા આતુર છું. હું બે મહિનામાં સંપૂર્ણ સ્વસ્થ થઈ શકીશ તેવી અપેક્ષા છે. ભારતીય ટેસ્ટ ટીમે ૨૦૨૦-૨૧માં ઓસ્ટ્રેલિયામાં એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ શાનદાર દેખાવ કરતા ૨-૧થી શ્રેણી જીતી લીધી હતી. ભારતીય ટેસ્ટ ટીમની આ ગૌરવ ગાથાને દર્શાવતી વેબ સીરિઝ ‘બંદો મેં થા દમ’નું ટ્રેલર ગુરુવારે રજૂ કરાયું તે પ્રસંગે રહાણેએ ઉપરોક્ત બાબતે સ્પષ્ટતા કરી હતી. તાજેતરમાં જ સંપન્ન થયેલી આઈપીએલ ટૂર્નામેન્ટમાં રહાણેએ સાત મેચમાં ૧૩૩ રન કર્યા હતા. જાે કે રહાણેના મતે તેનો અનુભવા સારો રહ્યો હતો. કેકેઆર તરફથી રમતા મને આનંદ થયો હતો અને અનુકૂળ માહોલ પ્રાપ્ત થયો હતો. દરેક ટીમના ખેલાડી સાથે પરિવાર જેવો માહોલ હતો અને મેદાન કે તેની બહાર દરેકની સફળતાનો અમે આનંદ લઈએ છીએ. કમનસીબે અણારી ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરી શકી નહતી તેમ રહાણેએ વધુમાં ઉમેર્યું હતું. રહાણેએ ૨૦૨૦માં મેલબોર્ન ટેસ્ટમાં ૧૧૨ રન ફટકાર્યા હતા જેને પગલે ભારતીય ટીમે ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી હતી. રહાણએ જણાવ્યું કે તેના માટે મેલબોર્નમાં ફટકારેલી સદી સૌથી વિશેષ હતી.


