ઉદયપુર
બોરીકુઆં-ગોજ્યા ગામના રહેવાસી વિનોદ મેઘવાલના લગ્ન ૨૫ મેના રોજ થવાના હતા. ઘરમાં લગ્નગીતોનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. બુધવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ વિનોદ પણ ડીજે પર ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન ઘરથી થોડે દૂર ગેસનું ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટી જવાની માહિતી મળતાં જ વિનોદ પણ તેના મિત્રો અને સંબંધીઓ સાથે ત્યાં પહોંચી ગયો હતો. અકસ્માત બાદ ટેન્કર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. લોકો તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે વિનોદને હડફેટે લીધો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વિનોદના અચાનક મૃત્યુ પર કોઈ વિશ્વાસ કરી શકતું ન હતું. તેના પરિવારજનોને જાણ થતાં જ આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. અકસ્માત બાદ વિનોદના અનેક સ્વજનો અને ગ્રામજનો રોષે ભરાયા હતા. તેઓએ મૃતદેહને હાઈવે પર રાખી વિરોધ શરૂ કર્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ ટીડી પોલીસે દોડી આવી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા લોકો શાંત થયા ન હતા. બાદમાં પોલીસે ભારે જહેમત ઉઠાવીને ગ્રામજનોને શાંત પાડ્યા હતા. પોલીસે ત્યાંથી મૃતદેહને ઉપાડીને ટીડી ખાતેના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈ તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. વિનોદના લગ્ન ૨૫ મેના રોજ ઋષભદેવના થાપડાવાડીમાં રહેતી મનીષા સાથે થવાના હતા. અકસ્માત બાદ બંને પરિવારમાં ખુશીનો માહોલ થોડીવારમાં શોકમાં ફેરવાઈ ગયો હતો. વિનોદ ઉદયપુરની એક ખાનગી કોલેજનો વિદ્યાર્થી હતો. તે તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. તેને બે બહેનો છે. તેમાંથી એક પરિણીત છે. વિનોદના પિતા વ્યવસાયે મજૂરી કરે છે.ઉદયપુર જિલ્લાના ટીડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે નંબર ૪૮ પર એક દર્દનાક માર્ગ અકસ્માતમાં એક વરરાજાનું મૃત્યુ થયું હતું. અકસ્માતનો ભોગ બનેલા યુવકના સાત દિવસ બાદ લગ્ન હતા. અકસ્માતના સમાચારથી લગ્ન ઘરમાં અફરા-તફરી મચી ગઈ હતી અને આખા ગામમાં શોકનો માહોલ પ્રસર્યો હતો. અકસ્માતથી રોષે ભરાયેલા ગ્રામજનોએ મૃતદેહને હાઈવે પર મૂકીને પ્રદર્શન કર્યું હતું. બાદમાં પોલીસે તેમને સમજાવીને ત્યાંથી હટાવ્યા હતા. આ અકસ્માત ટીડીના બોરીકુઆંમાં થયો હતો.
