શ્રીલંકા
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલાં શ્રીલંકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. મહત્વનું છે કે દેશમાં લોકો સતત વિરોધ પ્રદર્શન કરી તેમના રાજીનામાની માંગ કરી રહ્યાં હતા. શ્રીલંકાની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થવાને કારણે રાજપક્ષે પરિવાર સંકટનો સામનો કરી રહ્યો છે. અહીં સરકાર વિરુદ્ધ લોકો લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે અને મહિન્દા રાજપક્ષે અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની પણ માંગ કરી રહ્યાં છે. આ પહેલા સામે આવ્યું હતું કે રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીને તેમના પદ પરથી રાજીનામુ આપવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ મહિન્દા રાજપક્ષેએ આ વાતનું ખંડન કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે આવો કોઈ આગ્રહ રાષ્ટ્રપતિએ કર્યો નથી અને તે રાજીનામુ આપશે નહીં. શ્રીલંકન મીડિયાના અહેવાલ પ્રમાણે સત્તામાંરહેલી એસએલપીપી અને સહયોગી દળો વચ્ચે લાંબી ચર્ચા બાદ મહિન્દા રાજપક્ષેએ રાજીનામુ આપવાનો ર્નિણય કર્યો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં અધિકારીઓએ સોમવારે કર્ફ્યૂ લાગૂ કરી દીધુ છે. સરકાર સમર્થક જૂથો દ્વારા રાષ્ટ્રપતિ ગોટબાયાની ઓફિસ બહાર પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યા બાદ રાજધાનીમાં સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ હુમલામાં ૨૩ જેટલા લોકોને ઈજા થઈ હતી. એક પોલીસ પ્રવક્તાએ કહ્યુ કે, આગામી નોટિસ સુધી તત્કાલ પ્રભાવથી દેશભરમાં કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યું છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં સહાયતા માટે સૈન્યના જવાનોને વિરોધ પ્રદર્શન સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. શુક્રવારે કેબિનેટની બેઠક બાદ રાષ્ટ્રપતિએ શુક્રવારે મધ્યરાત્રિથી ઇમરજન્સીની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે શ્રીલંકામાં એક મહિનાની અંદર બીજીવાર આપાતકાલ લાગૂ કરવામાં આવ્યો છે. શ્રીલંકા પોતાની આઝાદી બાદથી સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ સંકટ વિદેશી મુદ્રાને કારણે ઉભુ થયું છે. દેશમાં જીવન જરૂરી વસ્તુમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. સરકાર વિરુદ્ધ લાંબા સમયથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.


