નાણાકીય વર્ષ ૨૦૨૨– ૨૩ તા. ૩૧ માર્ચના રોજ પૂર્ણ થનાર છે. ત્યારે વર્ષ ૨૦૨૨-૨૩ ના અંતિમ દિવસોમાં સરકારશ્રીની ગ્રાન્ટ, ખર્ચના બિલોનો ચુકવણું નિયત સમય મર્યાદામાં થાય એ માટે જૂનાગઢ તિજોરી કચેરી દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માર્ચ મહિના અંતિત તિજોરી કચેરીની નાણાકીય અને હિસાબી કામગીરીને સમય મર્યાદામાં તેમજ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા જૂનાગઢ જિલ્લા તિજોરી કચેરીમાં સમગ્ર સ્ટાફ દ્વારા સવારના ૧૦-૩૦ થી કચેરી સમય બાદ પણ રાત્રીના ૯ કલાક સુધી સરેરાશ કામગીરી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાની ૧૦૦ જેટલી સરકારી કચેરીઓ, પેટા કચેરીઓના કર્મચારીઓના પગાર ભથ્થા સમયસર ચૂકવવા તથા જૂનાગઢ જિલ્લાના અંદાજિત ૧૭૦૦૦ જેટલા પેન્શરનરોને પેન્શન ચૂકવવાનું તેમજ વિવિધ સહાય લોકકલ્યાણકારી યોજનાઓ, શિષ્યવૃત્તિ શૈક્ષણિક અને ઔદ્યોગિક કૃષિ પ્રવૃત્તિઓની સહાય સબસીડીના ચુકાદાઓ સમયસર થઈ શકે એ માટે જૂનાગઢ જિલ્લા તિજોરી કચેરીના સ્ટાફ દ્વારા કામગીરીનો મહત્તમ નિકાલ થાય એ માટે કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંગે ઇન્ચાર્જ જિલ્લા તિજોરી અધિકારી શ્રી બી.ડી. સાંગાણીએ જણાવ્યું હતું કે, નાણા વિભાગના પરિપત્ર મુજબ બિલોનો સ્વીકાર, ચકાસણી અને ચુકવણા માટે સ્ટાફ કામગીરીનું આંતરિક આયોજન કરી પોતાની કામગીરી ઉપરાંત નોડલ અધિકારીની નિમણૂંક કરીને વધારાની કામગીરી સોંપવામાં આવેલ છે. ઉપરાંત જૂનાગઢ જિલ્લા તિજોરી કચેરી હેઠળ કાર્યરત આઠ પેટા તિજોરી કચેરીનું મોનિટરિંગ નું કામ પણ કરવામાં આવી રહયું છે. નોડલ અધિકારી શ્રી દ્વારા બિલોનું સ્ટેટસ, નિકાલ અને ડેટા કલેક્શન ની કામગીરી કરવામાં આવી રહી છે.
વધુમાં બહુમાળી વિસ્તારમાં માર્ચ એન્ડીંગની કામગીરીમાં કોઈ મુશ્કેલી કે વિક્ષેપ ન પડે તે માટે સરદારબાગ બહુમાળી ભવન વિસ્તારમાં ઈલેક્ટ્રીક પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે સંબંધિત વિભાગને જણાવવામાં આવેલ છે. તેમજ હિસાબી કામગીરી મોડે સુધી ચાલુ રહેતી હોય જૂનાગઢ તથા જૂનાગઢના તમામ તાલુકાની એસબીઆઈ બેન્કને તારીખ ૩૧ માર્ચે મોડી રાત સુધી શરુ રાખવા જુનાગઢ કલેકટર શ્રી રચિત રાજ દ્રારા સુચના આપવામાં આવી છે.


