મહિલાઓની સુરક્ષા, આરોગ્ય, પોષણ, સામાજિક ભૂમિકા, આર્થિક રીતે પગભર બનવા, નિર્ણયમાં મહિલાઓની સહભાગીતા સહિતના મુદ્દાને કેન્દ્રમાં રાખી જૂનાગઢના જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ -વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ વર્કશોપ યોજાયો હતો. જેમાં સો ટકા મહિલા સદસ્યોથી બનેલી પાણી સમિતિના સભ્યો-અધ્યક્ષાશ્રીઓ સહભાગી થયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાની સંપૂર્ણ મહિલા સદસ્યોથી કાર્યરત મહિલા પાણી સમિતિને પ્રોત્સાહન રૂપે જિલ્લાની ૯ ગામોની પાણી સમિતિને રૂ.૫૦,૦૦૦ ચેક અર્પણ કરવામાં આવ્યાં હતા. આમ, કુલ રૂ. ૪.૫૦ લાખની રાશિના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.જી. પટેલે જણાવ્યું કે, મહિલાઓની સમસ્યાઓનું સમાધાન શિક્ષણ અને જાગૃતિના માધ્યમથી શક્ય બને તેમ છે. આ સાથે તેમણે સમગ્ર ધરતી ઉપર પાણીનો મર્યાદિત સ્ત્રોત હોવાનું જણાવતા કહ્યું કે, પાણીને પેદા કરી શકાતું નથી, જેથી પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ આવશ્યક છે. તેમને અંતમાં ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રયોસીથી પીવાના પાણીની સમસ્યા મહદંશે સમાપ્ત થઈ ચૂકી છે.
ડીવાયએસપી કુ. નિકિતાબેન સિરોયાએ મહિલા સુરક્ષા પર પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે, પરિવાર અને સમાજમાં દીકરીઓને ભયવિહિન અને મુક્ત વાતાવરણ મળી રહે તે માટે પ્રયાસ કરવાની જરૂર છે. દીકરીઓ સાથે બનેલ કોઈ પણ અણબનાવ વિશે વિનાસંકોચે અને નિર્ભિકપણે વ્યક્ત કરી શકે તેવું વાતાવરણ નિર્માણ કરવું આવશ્યક છે. ઉપરાંત તેમણે દીકરીઓના શિક્ષણ, કારર્કિદી, મુશ્કેલીના સમયમાં સ્વ-બચાવની તરકીબો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પાબેન જાવિયાએ જણાવ્યું કે. ચોમાસુની ઋતુમાં ઝાડા, ઉલ્ટી, ટાઈફોઈડ વગેરે પાણીજન્ય રોગોનું પ્રમાણ વધે છે. ત્યારે ક્લોરીનેશન કરેલું પાણી પીવુ જ હિતાવહ રહે છે. આર.ઓ.નું નિયમિત વધારે પડતું પાણી પીવાથી કેટલાક ખનીજ તત્વો અને બી કોમ્પ્લેક્સની ઉણપ સર્જાતી હોવાનું સામે આવ્યું છે. જેથી ઉકાળેલુ અને ક્લોરીનેશન કરેલુ પાણી પીવામાં ઉપયોગમાં લેવા જોઈએ. અંતમાં તેમણે મહિલાઓના હિમોગ્લોબીન એટલે કે, લોહીની ઉણપ સામાન્ય રીતે જોવા મળે છે. તે દૂર કરવા માટે સરકાર દ્વારા લોહતત્વની ગોળી આપવામાં આવે છે. તે લેવી ખૂબ જરૂરી છે. આ સાથે તેમણે પ્રોટીનયુક્ત આહાર લેવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું.
વાસ્મોના કાર્યપાલક ઈજનેર શ્રી વી. વી. કારીયાએ જણાવ્યું કે, મહિલાઓમાં વ્યાખ્યાયિત ન કરી શકાય તેવી એક શક્તિ પડેલી છે. સતત પડકાર વચ્ચે પણ સફળતાપૂર્વક તેની રાહ બનાવી લે છે. મહિલાઓના સશક્તિકરણ માટે ખાસ કરીને તેમની નિર્ણયોમાં ભાગીદારી વધારવી જોઈએ. તેને જ કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે પણ મહિલાઓની ભાગીદારી વધારવા પાણી સમિતિ સહિતની સમિતિઓમાં મહિલાઓની જગ્યા અનામત રાખવામાં આવી છે. આ ૯ મહિલા પાણી સમિતિમાંથી માંગરોળની વિરોલ અને માળીયા હાટીનાની પીખોર ગ્રામ પંચાયત સો ટકા મહિલા સદસ્યોથી સંચાલિત છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે બાળ સુરક્ષા અધિકારી કિરણબેન રામાણીએ કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ ની જાણકારી આપી હતી. ઉપરાંત તાલુકા લાઈવલી મેનેજર શ્રીમતી મંજુલાબેન પરમારે મહિલા સ્વ-સહાય યોજનાની વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી. સાથે જ મહિલાઓને આર્થિક રીતે પગભર બનવા માટે માર્ગદર્શન આપ્યું હતું. એ ડિવિઝનના પી.એસ.આઈ. શ્રી સિસોદિયાએ પણ મહિલા સુરક્ષાની સાથે પ્રસંગોચિત સંબોધન કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે વાસ્મોના જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રીમતિ આઈ.આર. કૈલાએ શાબ્દિક સ્વાગત અને અંતમાં શ્રીમતી નિકિતાબેન કણસાગરાએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે માંગરોળની ફુલરામા, ફરંગટા અને વિરોલ,માળીયાહાટીનાની જામવાડી અને પીખોર, વિસાવદરની દેસાઈ વડાળા, કેશોદની બાલાગામ, મેદરડાની ઢાંઢાવાડા, જૂનાગઢની ભલગામ ગામની પાણી સમિતિના મહિલા સદસ્યો સહિતના મહિલા તથા વાસ્મોના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.


