મહેસાણા
દૂધસાગર ડેરી દ્વારા હંગામી ધોરણે રાખવામાં આવેલા ૪૦ જેટલા કર્મચારીઓને ઓડિટરના વાંધાને પગલે છુટા કરાયા છે. એક વર્ષ માટે સ્ટાઇપેન્ડ ઉપર હંગામી ધોરણે રાખવામાં આવેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના અલગ અલગ પ્લાન્ટમાં ફરજ બજાવતા હતા. વિપુલ ચૌધરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન દૂધસાગર ડેરી દ્વારા ૨૦૧૩-૧૪ના વર્ષમાં ગણપત વિદ્યાનગર સાથે સમજૂતી કરી નોકરી આપવાની વાત સાથે પોતાની માતાના નામે કંકુબા પશુપાલન વિદ્યાપીઠમાં બેચલર ઓફ મિલ્ક પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ નામનો અભ્યાસક્રમ શરૂ કરાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યા બાદ ૨૦૧૭-૧૮ના વર્ષમાં વિપુલ ચૌધરી અને નિયામક મંડળ દ્વારા આ વિદ્યાર્થીઓને નોકરી આપવાની ના પાડતાં હંગામો થયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવેલ અભ્યાસક્રમ સરકાર માન્ય અને વેલીડ ન હોવાથી સરકારી ઓડિટર દ્વારા નિયામક મંડળ દ્વારા રખાયેલા ૪૦ કર્મચારીઓ અંગેનો વાંધો ઉઠાવી આ તમામને છૂટા કરવાનો રિપોર્ટ કર્યો હતો. જેને પગલે સહકાર વિભાગ દ્વારા આ કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ કરાયો હતો.


