સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
નૂતન કેળવણી મંડળ સંચાલિત પૂજ્ય લલ્લુભાઈ શેઠની નિશ્રામાં વટવૃક્ષસમી સાવરકુંડલામાં સ્થિત કે. કે. હાઈસ્કૂલ હરહંમેશ વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો છાયો ફેલાવતી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કે. કે. હાઈસ્કૂલનું બોર્ડ પરીક્ષાનું પરિણામ અગ્રેસર રહ્યું છે. આ વર્ષનું પરિણામ જોઈએ તો ધોરણ 10 માં બગડા ધૈર્ય 97.59 PR મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ ધોરણ 12 આર્ટ્સ વિભાગમાં ટાંક એકતાબેને 96.16 PR મેળવીને શાળા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત ધોરણ 12 કોમર્સ વિભાગમાં હિંગુ ધારાબેને 98.06 PR મેળવીને શાળા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગોંડલીયા સૃષ્ટિબેને 94.83 PR મેળવીને શાળા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દર વર્ષે બોર્ડ દ્વારા યોજાતી પરીક્ષામાં કે. કે. હાઈસ્કૂલ અસરકારક પરિણામ મેળવતી રહી છે. ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં ઉત્સાહી શિક્ષકોની ટીમ દ્વારા કે. કે. હાઈસ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ જોવા મળે છે. આ ઉપરાંત ધોરણ 12 ના કોમર્સ વિભાગમાં કે. કે. હાઈસ્કૂલ હંમેશા અગ્રેસર પરિણામ મેળવતી રહી છે. નામાના મૂળતત્વો વિષયના શિક્ષક શ્રી પ્રકાશભાઈ પટેલની મહેનતથી માર્ચ 2015 માં ના.મૂ . વિષયમાં પડીયા નમ્રતાએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા હતા. તેમજ આ વર્ષે પણ મકવાણા માનવે ના.મૂ. વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું. તેમજ ધોરણ 12 આર્ટ્સ વિભાગમાં યુવા શિક્ષકોની ટીમ દ્વારા શ્રેષ્ઠ પરિણામ લાવવામાં કે. કે. હાઈસ્કૂલ સફળ રહી છે. ગયા વર્ષે પણ આર્ટ્સ વિભાગમાં 99.17 PR સાથે વરિયા અભયકુમારે સમગ્ર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેમજ ધોરણ 10 ના પરિણામમાં પણ શાળા ઉતરોતર પ્રગતિ કરતી રહી છે. ઉપરોક્ત શાળાની સફળતાનું શ્રેય શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શનને તેમજ શિક્ષકશ્રીઓની કાર્યદક્ષતાને આભારી છે. પરિણામમાં આવો શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન કામદાર, ઉપપ્રમુખશ્રી મુકુંદભાઈ નાગ્રેચા, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જયંતીભાઈ વાટલીયા તેમજ કે. કે. હાઈસ્કૂલના આચાર્યશ્રી જે. ટી. ખડદિયા સાહેબે વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફ પરિવારને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતાં.
