અમદાવાદ
અમદાવાદના રખિયાલમાં ૨ દિવસ અગાઉ લગ્ન પ્રસંગમાં કેટલાક લોકોએ જાહેર રોડ પર ફટાકડા ફોડ્યા હતા.એક તરફનો રોડ બંધ કરીને લોકોના જીવ જાેખમમાં મૂકીને કેટલાક લોકો ફટાકડા ફોડી રહ્યા હતા જે મામલે પોલીસને જાણ થતાં પોલીસે તપાસ કરીને ૨ વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. રખિયાલ મહાગુજરાત બેકરી પાસે શુક્રવારે રાતે ૧૦ વાગ્યા બાદ એક લગ્ન પ્રસંગ દરમિયાન કેટલાક લોકોએ એક તરફનો રસ્તો તથા બીઆરટીએસનો રસ્તો બંધ કરીને ફટાકડા ફોડ્યા હતા. લોકોના જીવ જાેખમમાં મુકાય તે રીતે યુવકોએ હાથમાં ફટાકડા ફોડ્યા હતા.આતશબાજીના ફટાકડા હાથમાં રાખીને ફોડ્યા હતા, જેનાથી રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો હતો.રખિયાલ પોલીસે આ મામલે જાણ થતાં વીડિયો અને સ્થાનિકોની તપાસ કરતા નજીકની ચાલીમાં લગ્ન પ્રસંગ હતો, તે દરમિયાન કરીમખાન પઠાણ અને અસફાક સિપાહી બેદરકારીપૂર્વક ફટાકડા ફોડી રહ્યા હતા. તે મામલે રખિયાલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. રોડ રસ્તા પર ફટાકડા ફોડતા આવતા જતા લોકોમાં ડર ફેલાયલો હતો. કેટલાક લોકોએ દૂરથી જાેઈને જ રસ્તો બદલી દીધો હતો. આતશબાજીના ફટાકડા જે આકાશમાં જઈને ફૂટે તેમાંથી કેટલાક ફટાકડા નીચે ફોડવામાં આવ્યા હતા, જેનાથી રસ્તે જતા વાહન ચાલકો પાસે પણ ફટાકડા ફૂટ્યા હતા. જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. હાથમાં ફટાકડા ફોડતા લોકોથી પણ વાહન ચાલકો ડરી ડરીને નીકળી જતા હતા. જાેકે આ પોલીસ સ્ટેશનથી માત્ર ૧૫૦ મીટરના અંતરે જ ફટાકડા ફૂટતા હોવા છતાં કોઈ કાર્યવહી ના કરતા સવાલ થઈ રહ્યા છે.


