Gujarat

જીવન રથના સારથી ભગવાનને બનાવો

એક સંત નાનકડો આશ્રમનું સંચાલન કરતા હતા.એક દિવસ નજીકના રસ્તેથી એક મુસાફરને પકડીને અંદર લઇ આવે છે અને શિષ્યોની સામે તેને પ્રશ્ન પુછ્યો કે જો તમે રસ્તેથી પસાર થતા હો અને તમોને સોનામહોરો ભરેલી થેલી મળે તો તમે શું કરો? ત્યારે તે કહે છે કે તત્ક્ષણ તેના માલિકનું સરનામું શોધીને તેને પરત કરી દઉં અથવા તેનો માલિક ના મળે તો તેને રાજકોષમાં જમા કરાવી દઉં.

સંત હસ્યા અને મુસાફરને વિદાય કરી દીધો અને પોતાના શિષ્યોને કહ્યું કે આ માણસ મૂર્ખ છે.શિષ્ય ઘણા હેરાન થઇને વિચારે છે ગુરૂજી આ શું કરી રહ્યા છે? આ મુસાફરે યોગ્ય જવાબ તો આપ્યો છે અને તમામને એ વાત શિખવવામાં આવી છે કે આવી પારકી વસ્તુને ગ્રહણ ના કરવી જોઇએ.

થોડીવાર પછી સંત બીજા કોઇ મુસાફરને આશ્રમમાં લઇને આવ્યા અને તેને પણ આ જ પ્રશ્ન પુછ્યો, ત્યારે આ મુસાફરે જવાબ આપ્યો કે શું આપ મને મૂર્ખ સમજો છો? મને રસ્તામાં સોનામહોરો ભરેલી થેલી મળે તો તેના માલિકને શોધીને તેને પરત કરૂં એટલો ના-સમજ હું નથી.આ બીજો મુસાફર ગયા પછી સંત કહે છે કે આ વ્યક્તિ શૈતાન છે.

 શિષ્ય ઘણા હેરાન થયા કે પહેલો મૂર્ખ અને આ બીજો શૈતાન તો ગુરૂજી શું કહેવા માંગે છે? હવે ગુરૂજી ત્રીજા કોઇ મુસાફરને પકડીને લઇ આવે છે અને તેને પણ આ જ પ્રશ્ન પુછે છે ત્યારે મુસાફરે ઘણી જ સજ્જનતાથી જવાબ આપ્યો કે મહારાજ ! હમણાં તો આપના પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે.આ ચાંડાલ મનનો શું ભરોસો કે ક્યારે દગો દઇ દે? એક ક્ષણની ખબર નથી.જો પરમાત્માની કૃપા થાય અને સદબુદ્ધિ બનેલી રહે તો તેના માલિકને શોધીને તેની અમાનત તેને પરત કરી દઉં.

સંતે કહ્યું કે આ માણસ સાચો છે.તેને પોતાના મનની દોરી પરમાત્માને સુપ્રત કરી રાખેલી છે.આવા વ્યક્તિઓ દ્વારા કોઇ ખોટો નિર્ણય થઇ શકતો નથી.મહાભારતના સમયમાં જયેષ્ઠ પાંડવ સૂર્યપૂત્ર કર્ણ ધર્મ અને કર્મનો જ્ઞાતા હતો અને અર્જુન કરતાં કર્મ અને ધર્મ બંન્નેમાં શ્રેષ્ઠ હતો તેમ છતાં પણ તે પોતાના નાના ભાઇ અર્જુન સામે કેમ હારી ગયો? તેનું એક જ કારણ છે કે અર્જુને પહેલાંથી જ પોતાના જીવનરથની દોરી નારાયણનો અવતાર ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં સોંપી દીધી હતી..

મનુષ્‍યનું આ શરીર જ રથ છે,આત્‍મા સારથી છે,ઇન્‍દ્રિયો ઘોડાઓ છે.જેવી રીતે કુશળ સારથી ઘોડાઓને પોતાને વશમાં કરીને સુખપૂર્વક યાત્રા કરે છે,તેવી જ રીતે સાવધાન મનુષ્‍ય ઇન્‍દ્રિયોને કાબૂમાં રાખીને સુખપૂર્વક જીવનયાત્રા પસાર કરે છે.મનુષ્‍ય જે કંઇ શુભ અથવા અશુભ કર્મ કરે છે તેનું ફળ તેને અવશ્‍ય ભોગવવું ૫ડે છે.અમારા માટે પણ આ વ્યક્તિગત પ્રશ્ન છે કે અમે અમારા જીવનનું મહાભારત જીતવા માટે અમારા જીવનની દોરી કોને સોંપી છે?

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *