રાજકોટ શહેર સહજાનંદ હાઇસ્કૂલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.
રાજકોટ શહેર તા.૧૧/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરના મવડી પાસે આવેલ સહજાનંદ હાઇસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, પ્રાદેશિક માહિતી કચેરી, વ્યવસાયિક સંસ્થા અમદાવાદ (રાયખડ) તથા મદદનીશ નિયામક રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. વિદ્યાર્થીઓના સંપુર્ણ વિકાસ માટે સરકાર કટીબધ્ધ છે. વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાનની સાથે સાથે કારકિર્દી લક્ષી માર્ગદર્શન, ઉત્તમ નાગરિક બનવાની પ્રેરણા તથા વિદ્યાર્થી ઉત્કર્ષલક્ષી સરકારની વિવિધ યોજનાઓથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે સરકારના વિવિધ વિભાગો દ્વારા સેમિનાર યોજાતા હોય છે. જે અનુસંધાને યોજાયેલા સેમિનારમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી ઉપસ્થિત રહેલા શાળા સલાહકાર ભાવનાબેન ભોજાણીએ જીવનમાં સફળ રહેલા વ્યક્તિ વિશેષના ઉદાહરણ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યુ હતુ. પ્રાદેશિક માહિતી કચેરીના સિનિયર સબ એડિટર જીતેન્દ્ર નિમાવતે માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત વિવિધ સાહિત્ય ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર વિશે વિસ્તૃત જાણકારી આપવાની સાથે પરંપરાગત માધ્યમ ભવાઈ, ડાયરા દ્વારા સરકારી યોજનાના પ્રચાર-પ્રસાર વિશે પણ જાણકારી આપી હતી. મદદનીશ નિયામક રોજગાર કચેરીથી ઉપસ્થિત રહેલા રાજેશભાઈ ચૌહાણે ધોરણ ૧૦-૧૨ પછી શું કરવું ? તે બાબતે કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું. વિદેશ રોજગાર સેલના હમીરભાઈ ચૌહાણ દ્વારા વિદેશમાં શિક્ષણ અને રોજગારી મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને પાસપોર્ટ અને વિઝા અંગેની માહિતી આપી હતી. ઉપરાંત રોજગાર કચેરીના પ્રવીણભાઇએ વિદ્યાર્થીઓને મંથન કરી અભ્યાસમા કઇ રીતે એકાગ્રતા મેળવી અભ્યાસમા કઇ રીતે આગળ વધવુ તેની જાણકારી આપી હતી. તન્વીબેન ત્રિવેદીએ નોકરી મેળવવા શું કરવુ, સરકારી નોકરી મેળવવા વાચનનુ મહત્વ વગેરે વિશે સમજાવ્યુ હતુ. કાર્યક્રમમાં બાઈ સાહેબબા હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય જે.કે.ગઢવી, શાળા સંચાલકો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.



