ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમ કે જેનું નિર્માણ અંગ્રેજોના સમયમાં થયું હતું. તે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં ઓવરફ્લો થઈ જાય છે. ત્યારબાદ તેનું લાખો લિટર પાણી દરિયામાં વહી જાય છે.
આ સહિતના મુદ્દે ખંભાળિયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા આ ખાસ લક્ષ્ય કેળવી, આગામી સમયમાં ખંભાળિયા નજીક સલાયા પહેલા એક ડેમનું નિર્માણ થાય અને ત્યાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.
મીઠા પાણીનો યોગ્ય રીતે સંગ્રહ થાય તે હેતુથી પહેલા સલાયા- 2 નામથી પાણી માટેની આશરે રૂપિયા બાર કરોડ જેટલી રકમના ખર્ચે યોજનાની મંજૂરીને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.
આ યોજનાનો ખેડૂતો તેમજ સ્થાનિક રહીશોને મહત્તમ લાભ કઈ રીતે મળે તે હેતુથી અભ્યાસ તેમજ સર્વે અંગેની કામગીરી આગામી દિવસોમાં શરૂ થનાર હોવાનું પણ વધુમાં જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભાળિયા તેમજ ભાણવડ વિસ્તારને હાલ પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે નર્મદા નદીના નિર પ્રાપ્ત થાય તે અંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની જહેમતથી હવે નર્મદાના નીર પ્રાપ્ત થશે.
ત્યારે હવે આગામી દિવસોમાં આ વિસ્તારના લોકોની મુખ્ય રજૂઆત તેમજ લાગણી અને માંગણી મુજબ વધુ એક મોટો ડેમ બનશે અને લાખો લિટર મીઠું પાણી સંગ્રહ થશે. જેથી આ વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

