અમદાવાદમાં તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, ઝાડા ઉલટી, કમળો, કોલેરા, ટાઇફોઇડ, ઓરી, અછબડાં, ગાલ-પચોડિયા સહિતની બીમારીઓ વધી છે.
ચોમાસાની શરૂઆતની સાથે લોકો હવે બીમાર પડી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત હોસ્પિટલોમાં સવારથી દર્દીઓની લાઈનો લાગે છે.
સરસપુરની શારદાબેન, મણિનગરની એલજી અને બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દર્દીઓની સ્થિતિ ચકાસી હતી.
સૌથી વધુ તાવ, શરદી, ખાંસી જેવા વાયરલ ઇન્ફેક્શન તેમજ ઝાડા ઉલટી, કમળો, ટાઈફોઇડ, ડેન્ગ્યુ, મેલેરિયાના દર્દીઓ વધ્યા છે. વાયરલ ઇન્ફેક્શન જેવા લક્ષણો ચાંદીપુરા વાયરલના પણ હોવાના કારણે બાળ દર્દીઓ પણ વધ્યા છે.
30 જૂનના રોજ અમદાવાદમાં ભારે વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળો વધ્યો છે. 1 જુલાઈથી 25 જુલાઈ સુધીમાં AMC સંચાલિત હોસ્પિટલોમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી, કોલેરા, કમળો, ટાઈફોઈડ, ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના 25,000થી વધુ દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે.
25 દિવસમાં શારદાબેન અને એલજી હોસ્પિટલમાં 10,000થી વધુ મેડિકલ ઓપીડીના કેસો નોંધાયા છે.
ત્રણેય હોસ્પિટલોમાં જ્યારે તપાસ કરી તો સવારે 9:30 વાગ્યાથી દર્દીઓની લાંબી લાઈનો ઓપીડીમાં જોવા મળી હતી. લોકો લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા હતા.
સવારે 9 વાગ્યાથી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. ખાસ કરીને લોકોને તાવ, શરદી, ઉધરસ અને પેટને લગતી બીમારી જોવા મળી હતી. બાળકોમાં પણ તાવ શરદી અને ઉધરસના કેસો વધુ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા.


