પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ઇરાની રાજદૂતને નિષ્કાસિત કર્યા
મંગળવારે બલૂચિસ્તાનમાં મિસાઈલ અને ડ્રોન વડે ઈરાન દ્વારા કરાયેલા હુમલા બાદ પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી છે. હુમલાના એક દિવસ પછી, પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ઇરાની રાજદૂતને નિષ્કાસિત કર્યા છે, જ્યારે તેહરાનમાં પાકિસ્તાની રાજદૂતને પરત બોલાવવામાં આવ્યા છે. ઈરાને પાકિસ્તાની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યા બાદ વધેલા તણાવ બાદ ઈસ્લામાબાદે બુધવારે આ પગલું ભર્યું હતું. બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારની મંજૂરી વિના પાકિસ્તાની મીડિયામાં ઈરાની હુમલાની કોઈ માહિતી પ્રકાશિત કરવામાં આવશે નહીં. આ સાથે પાકિસ્તાને ઈરાનની તમામ ઉચ્ચ સ્તરીય મુલાકાતો સ્થગિત કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત, જે હાલમાં દેશની બહાર છે, તેમને પરત ન આવવા વિનંતી કરવામાં આવી છે. તાજેતરના મિસાઈલ હુમલાના જવાબમાં પાકિસ્તાને ઈરાનમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવવાનો ર્નિણય લીધો છે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને આ કથિત ગેરકાયદેસર કૃત્યનો જવાબ આપવાના પાકિસ્તાનના અધિકાર પર ભાર મૂક્યો હતો.
નિવેદનમાં આવનારા કોઈપણ પરિણામોની જવાબદારી ઈરાન પર છે. બલૂચિસ્તાનને “જૈશ અલ-ધુલ્લામ (જૈશ અલ-અદલ) આતંકવાદી જૂથના બે મુખ્ય ગઢ” માનવામાં આવે છે. મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ હુમલાને “ગેરકાયદેસર અને અસ્વીકાર્ય કૃત્ય” ગણાવ્યું અને કહ્યું કે ઈસ્લામાબાદ જવાબ આપવાનો અધિકાર સુરક્ષિત રાખે છે. વધુમાં, આગામી દિવસોમાં પાકિસ્તાન અને ઈરાન વચ્ચેની તમામ ચાલુ અને આયોજિત ઉચ્ચ સ્તરીય મુલાકાતો સ્થગિત કરવામાં આવી છે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
પાકિસ્તાને અગાઉ “તેના એરસ્પેસના ઉશ્કેરણીજનક ઉલ્લંઘનની સખત નિંદા” કરી હતી, અને કહ્યું હતું કે હુમલાના પરિણામે “બે નિર્દોષ બાળકોના મોત થયા હતા, જ્યારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ હતી.” પાકિસ્તાની વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેહરાન સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ઈરાની પ્રભારીને “અમારી સખત નિંદા વ્યક્ત કરવા” માટે મંત્રાલયને બોલાવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલા ઈરાનની સરહદ નજીક પંજગુર શહેરમાં થયા હતા. બે અનામી પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં પાકિસ્તાની સરહદની અંદર લગભગ ૫૦ કિલોમીટરની અંદર એક મસ્જિદને નુકસાન થયું હતું.

