Gujarat

પુરુષોતમ રૂપાલાએ જય શિવાજી, જય ભવાનીના નારા લગાવી ક્ષત્રિય સમાજને ભાજપ સાથે જોડાવવા ફરી એકવાર અપીલ કરી

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા દ્વારા મોરબીના પ્રવાસ દરમ્યાન તેઓએ રવાપર ચોકડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, બાદમાં રોડ શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મંચ પરથી પુરુષોતમ રૂપાલાએ જય શિવાજી, જય ભવાનીના નારા લગાવી ક્ષત્રિય સમાજને ભાજપ સાથે જોડાવવા ફરી એકવાર અપીલ કરી હતી. આ સાથે રાષ્ટ્રનાં કામમાં જોડાવા અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ક્ષત્રિય સમાજને આહ્વાન પણ કર્યું હતું.

પુરુષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ કરેલી ટિપ્પણીનો વિવાદ હજુ શમ્યો નથી અને ક્ષત્રિય યુવાનો સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે સભામાં મંચ પરથી પુરુષોતમ રૂપાલાએ ‘જય શિવાજી, જય ભવાની’ના નારા લગાવ્યા હતા. ક્ષત્રિય સમાજ મંચ પર બેસી સાથે રહેવાની વાત કરી હતી. ત્યારે ક્ષત્રિય સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે મોદીના હાથ મજબૂત બનાવો નરેન્દ્ર મોદીનું આ પ્રકારનું શાસન ચાલતું હોય ત્યારે નાની-મોટી વાતને દરગુજર કરી ક્ષત્રિયો પણ સાથે જોડાય તેવી વિનમ્ર અપીલ કરી હતી.પુરુષોતમ રૂપાલાનો રોડ શો મોરબીના રવાપર રોડ પર હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડથી શરૂ કરવામાં આવ્યો હતો.

જે રવાપર ગામે બહુચરાજી માતાજી મંદિર સામે પૂર્ણ કરવામાં આવ્યો હતો, જ્યાં સભા યોજાઈ હતી. જે સભામાં ભાજપ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પુરુષોતમ રૂપાલાએ સભા સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને વડાપ્રધાનના ઉમેદવાર કોણ છે તે કોઈને ખબર નથી તેવો કટાક્ષ કર્યો હતો. રાજકોટ બેઠક પર ૧૦૦ ટકા મતદાન થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉદ્યોગકારો પાસે મોટો પરિવાર છે અને તે પોતાના મતદારની સૂચી બનાવે અને મતદાન કરવા અપીલ કરે સાથે જ તેઓએ પોતાના સંબોધનમાં ભાજપ સરકારની યોજનાઓ વર્ણવી હતી અને શિક્ષણની પ્રગતિ વિશે વાત કરી હતી.

વધુમાં તેઓએ મોરબીના વિકાસની વાતો કરી, ઉદ્યોગના વિકાસની વાત કરી શ્યામજી કૃષ્ણ વર્માના જીવનની યશગાથા, સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાતો કરી હતી. રામમંદિરના નિર્માણનું કાર્ય મોદી સરકારે કર્યું તેમ જણાવ્યું હતું.

મોરબી ખાતે ભાજપની સભામાં પુરુષોતમ રૂપાલાની સાથે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, રાજકોટ સાંસદ મોહન કુંડારિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભ દેથરિયા તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન, રાજ્યસભાના સાંસદે મોદી સરકારની વિવિધ યોજનાઓ અને વિવિધ લાભ અંગે વાત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી પીએમ બનાવવા માટે આહ્વાન પણ કર્યું હતું.