રતન ટાટાએ દુનિયાને અલવિદા કહી દીધું. તેમણે ૮૬ વર્ષની વયે બુધવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. પીએમ મોદી સહિત દેશભરના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પણ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તેમણે ટિ્વટ કરીને કહ્યું કે, ઉદ્યોગના સાચા દિગ્ગજ રતન ટાટાના નિધનથી ખૂબ જ દુઃખી છું. વ્યવસાય તેમજ સામાજિક કાર્યમાં તેમના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વએ મોટી સંખ્યામાં લોકોના જીવનને પ્રભાવિત કર્યું, જે માત્ર ભારત પૂરતું મર્યાદિત ન હતું પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું હતું. તેમનો વારસો અને સકારાત્મક પ્રભાવ સમાજમાં હંમેશા યાદ રહેશે. ટાટા ગ્રૂપ નેપાળમાં સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું સંચાલન કરે છે, જેમાં પાવર પ્લાન્ટનું સંચાલન અને ટાટા ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા સંચાર ક્ષેત્રે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
થોડા દિવસો પહેલા જ ટાટા ગ્રુપે નેપાળમાં ઈલેક્ટ્રીક કાર પણ લોન્ચ કરી હતી. નેપાળના કાર માર્કેટમાં ટાટા ગ્રૂપનો નોંધપાત્ર હિસ્સો છે.
રતન ટાટાના નિધન પર રાજકારણીઓથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સુધી દરેક લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. હવે તેમને ભારત રત્ન આપવાની માંગ ઉઠી છે. શિવસેના શિંદે જૂથના નેતા રાહુલ કનાલે તેમને ભારત રત્ન આપવાની માંગ કરી છે. આ માટે તેમણે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. રાહુલે પોતાના પત્રમાં લખ્યું છે કે રતનજીને ભારત રત્ન આપવો એ સાચી શ્રદ્ધાંજલિ હશે. રતન ટાટાના નિધન પર મહારાષ્ટ્ર અને ઝારખંડે રાજ્યમાં એક દિવસનો શોક જાહેર કર્યો છે. બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.
શોકના સમયગાળા દરમિયાન રાજ્યની સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય ત્રિરંગો અડધી માસ્ટ પર રહેશે. આ દિવસે રાજ્યમાં કોઈ મનોરંજન કાર્યક્રમ થશે નહીં. રતન ટાટાના પાર્થિવ દેહને ગુરુવારે સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી દક્ષિણ મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટમાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવશે. ત્યાર બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

