Entertainment

દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારે ૮૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે ૮૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જાેવા મળી. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરી. એટલા માટે તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભરત કુમાર‘ કહેતા. તેઓ ક્રાંતિ અને ઉપકાર જેવી દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે પ્રખ્યાત હતા.

૨૪ જુલાઈ ૧૯૩૭ના રોજ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી તરીકે જન્મેલા મનોજ કુમાર તમામ કલાકારો માટે પ્રેરણારૂપ હતા. અભિનયની સાથે, મનોજ કુમારે ઘણી દેશભક્તિની ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું, જેમાં “શહીદ” (૧૯૬૫), “ઉપકાર” (૧૯૬૭), “પૂરબ ઔર પશ્ચિમ” (૧૯૭૦), અને “રોટી કપડા ઔર મકાન” (૧૯૭૪) નો સમાવેશ થાય છે.

ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ મનોજ કુમારને ૧૯૯૨માં પદ્મશ્રી અને ૨૦૧૫માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેણે પોતાના કામથી બધાના દિલ જીતી લીધા. તેમની દેશભક્તિની ફિલ્મો ઉપરાંત, તેમણે “હરિયાલી ઔર રાસ્તા”, “વો કૌન થી”, “હિમાલય કી ગોડ મેં”, “દો બદન”, “પત્થર કે સનમ”, “નીલ કમલ” અને “ક્રાંતિ” જેવી ઘણી મહાન ફિલ્મોમાં અભિનય અને દિગ્દર્શન કર્યું હતું.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- સુપ્રસિદ્ધ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા આપણા પ્રેરણાસ્ત્રોત અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના સિંહ હતા. તે હવે આપણી વચ્ચે નથી. આ આપણા સમગ્ર ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. આપણે હંમેશા તેમને યાદ રાખીશું.