Gujarat

ઇટ્રાના 250 લોકોએ શિવરાજપુર બીચ પર કર્યું યોગ નિદર્શન

જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઇટ્રા) દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ ઉજવણી કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્લુફ્લેગ શિવરાજપુર બીચ પર 10 જૂને કોમન યોગ પ્રોટોકોલનું નિદર્શન યોજાયું.

આ કાર્યક્રમમાં ઇટ્રાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરીની આગેવાની હેઠળ સંસ્થાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફે ભાગ લીધો. વિદ્યાર્થીઓ અને સ્વસ્થવૃત્ત-યોગ વિભાગના કર્મચારીઓ સહિત કુલ 250 લોકોએ યોગ નિદર્શનમાં ભાગ લીધો.

આયુષ મંત્રાલય, ભારત સરકાર હેઠળની આ સંસ્થાએ લોકોમાં યોગ દ્વારા સ્વાસ્થ્ય સુધારવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું. વર્ષ 2025માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને એક દશક પૂર્ણ થશે. વિશ્વભરમાં યોગ પ્રત્યે વધી રહેલા ઉત્સાહને ધ્યાનમાં રાખી, શિવરાજપુર બીચ પર યોજાયેલું આ નિદર્શન લોકોને યોગ અપનાવવા પ્રેરણા આપશે.