National

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા આજે બિહારના પટણામાં ‘જય ભીમ પદયાત્રા‘નું નેતૃત્વ કરશે

આજે દેશના તમામ મુખ્ય રાજ્યોની રાજધાનીઓમાં એકસાથે ડૉ. આંબેડકરના વારસાને માન આપતી આવી પદયાત્રાઓ યોજાશે

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ડૉ. બી. આર. આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવા માટે આજે (૧૩ એપ્રિલ, ૨૦૨૫) રવિવારનાં રોજ બિહારનાં પટણામાં ‘જય ભીમ પદયાત્રા‘નું નેતૃત્વ કરશે, જેમાં ૧૦,૦૦૦થી વધારે એમવાય ભારત સ્વયંસેવકો ભાગ લે તેવી અપેક્ષા છે.

આવી જ પદયાત્રાઓ ભારતના તમામ મોટા રાજ્યોની રાજધાનીઓમાં એક સાથે યોજાશે. બાબાસાહેબના સમાનતા, ન્યાય અને બંધુત્વના સ્વપ્નને સામૂહિક શ્રદ્ધાંજલિ રૂપે હજારો યુવાનોને એકત્રિત કરીને, રાજ્યની રાજધાનીઓમાં રાષ્ટ્રવ્યાપી પદયાત્રા પ્રથમ વખત યોજવામાં આવી રહી છે.

પટણામાં આ પદયાત્રાની શરૂઆત પ્રતિષ્ઠિત ગાંધી મેદાનથી થશે, જે એક જીવંત, સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ માર્ગ પર આગળ વધશે, જેમાં આંબેડકરના અવતરણો સાથે શ્રદ્ધાંજલિ કોર્નર, સામાજિક સુધારણા પર લાઇવ આર્ટ અને સ્ટ્રીટ પર્ફોમન્સ, યુવાનો માટે પ્રતિજ્ઞાચિહ્નો અને તેમના વારસાથી પ્રેરિત મ્યુઝિકલ-થિયેટર એક્ટ્સ સામેલ હશે.

‘જય ભીમ પદયાત્રા‘ની મુખ્ય વિશેષતાઓમાં એમવાય ભારતના સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રવ્યાપી પ્રસ્તાવના વાંચન અને તમામ જિલ્લાઓમાં આંબેડકર સ્મારકો પર પ્રતિમા સફાઇ ઝુંબેશનો સમાવેશ થાય છે, જે બંધારણીય મૂલ્યો અને નાગરિક જવાબદારી પ્રત્યેની સંયુક્ત પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે મહારાષ્ટ્રનાં મુંબઈમાં આ પદયાત્રાનું નેતૃત્વ કરશે, જેમાં હજારો એમવાય ભારતનાં સ્વયંસેવકો અને નાગરિકો સામેલ થશે.

યુવાનોની ભાગીદારી વધારવા અને નાગરિક જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે, ભારતના દરેક જિલ્લામાં પૂર્વ-પદયાત્રા પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં શાળાઓ અને કોલેજાેમાં નિબંધ લેખન, ચર્ચા, પેઇન્ટિંગ અને સ્લોગન સ્પર્ધાઓની સાથે પ્રતિમાની સફાઇ અને પુષ્પાંજલિનો સમાવેશ થાય છે.

ભારતીય સંવિધાનના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત થનારી ૨૪ પદયાત્રાઓની શ્રૃંખલામાં ‘જય ભીમ પદયાત્રા‘ નવમાં ક્રમે છે. આ અભિયાન હેઠળની દરેક પદયાત્રા એક પ્રતીકાત્મક યાત્રા છે, જે આજના યુવાનોને ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના મૂલ્યો સાથે જાેડે છે.

મંત્રાલયે એમવાય ભારત પોર્ટલ (http://www.mybha®a.gov.in/) પર નોંધણી કરાવીને અને લોકશાહી, ગૌરવ અને એકતા માટે આ ગૌરવપૂર્ણ કૂચમાં ભાગ લઈને સમગ્ર ભારતના તમામ યુવાનોને આ પરિવર્તનકારી આંદોલનનો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે.