ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે કુલ 53.89 કરોડ રૂપિયાના વિકાસ કામોને સત્તાવાર બહાલી આપવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા, નવા રસ્તાઓ અને બ્રિજના નિર્માણ સહિતના કુલ 21 જેટલા જનહિતલક્ષી પ્રસ્તાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને અકવાડાથી અધેવાડા સુધીનો ફોરલેન વાઇડનિંગ રોડ અને માલેશ્રી નદી પર આધુનિક બ્રિજ બનાવવાની કામગીરી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે.

અકવાડા-અધેવાડા ફોરલેન રોડ અને માલેશ્રી નદી પર નવો બ્રિજ બનશે શહેરમાં વધી રહેલા વાહનોના ભારણ અને ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે ભાવનગરના રિંગ રોડ નેટવર્કને વધુ સુદ્રઢ બનાવવામાં આવી રહ્યું છે.
ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને અકવાડાથી અધેવાડા તરફ 16 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નવો ફોરલેન વાઇડનિંગ પેવર રોડ બનાવવામાં આવશે. આ ઉપરાંત ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડમાં માલેશ્રી નદી પર આવેલા હાલના સાંકડા માર્ગને પહોળો કરી 25.77 કરોડ રૂપિયાના ખર્ચે ફોરલેન બ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, જેને આગળ જતાં ભાવનગર મહાનગરપાલિકાની હદ સુધી લંબાવવાનું આયોજન પણ વિચારણા હેઠળ છે.
દક્ષિણ સરદારનગર પાસે માઇનોર બ્રિજ અને ગૌરીશંકર તળાવનું નવીનીકરણ શહેરના દક્ષિણ સરદારનગર અધેવાડા વિસ્તાર નજીકથી પસાર થતી માલેશ્રી નદી પર 8 કરોડ રૂપિયાના ખર્ચે નવા માઇનોર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે, જેથી સ્થાનિક રહીશોની અવરજવર વધુ સુગમ બનશે. નાગરિકોના આરોગ્ય અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ગૌરીશંકર તળાવ પરિસરમાં આવેલા બટરફ્લાય ગાર્ડન અને કૈલાસ વાટિકા પાસે 1 કરોડ 17 લાખ રૂપિયાના ખર્ચે અદ્યતન જોગર્સ ટ્રેક વિકસાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.
કુંભારવાડામાં ડ્રેનેજ અપગ્રેડેશન અને કરોડોના ખર્ચે RCC રોડ બનશે કુંભારવાડા ગઢેચી રોડ અને જવાહરનગર વિસ્તારમાં લાંબા સમયથી ઉદ્ભવતી ગટરની ફરિયાદોના નિવારણ અર્થે 31 લાખ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમનું અપગ્રેડેશન હાથ ધરાશે. ડ્રેનેજની કામગીરી દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના કાયમી સમારકામ માટે પાલિકા દ્વારા 1 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે ટકાઉ RCC રોડ બનાવવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ તમામ પ્રોજેક્ટ્સ મળીને સમગ્ર ભાવનગર શહેરમાં આશરે 54 કરોડ રૂપિયાના લોકઉપયોગી કાર્યો શરૂ થતાં નાગરિકોને પ્રાથમિક સુવિધાઓનો મોટો લાભ મળશે.

