દેવભૂમિ દ્વારકા જિલ્લાના રણજીપપુર ગામ પાસે સોમવારે સાંજે અગ્નિ અકસ્માતનો હ્દયદ્વાવક બનાવ સામે આવ્યો હતો.જેમાં રોડ પર દોડતી કારમાં કોઈ અજાણ્યા કારણોસર અચાનક આગ ભભૂકી ઊઠતાં કારમાં સવાર પિતા અને પુત્રી આગની જ્વાળાઓમાં સપડાઈ જતા ગંભીર રીતે દાઝી જવાથી બંનેના કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા.
જયારે અગ્નિ અકસ્માતના બનાવમાં પત્નીને સામાન્ય ઇજા સાથે બચાવ થયો હોવાનુ સામે આવ્યુ છે.આ બનાવના પગલે દોડધામ મચી જવા પામી હતી.જયારે પરીવારના મોભી પિતા સહિત પુત્રીએ જીવ ગુમાવતા ભારે અરેરાટી સાથે પરીજનોના આક્રદે વાતાવરણમાં ગમગીની પ્રસરી હતી.
સુમાહિતગાર સુત્રોમાંથી મળતી વિગત અનુસાર રાજકોટમાં રહેતા વલ્લભભાઈ સવદાસભાઈ સૂવા પોતાના પરિવાર સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે રણજીતપુર ગામ પાસે અચાનક કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા બાદ થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ આગ એટલી ભયાનક હતી કે કારમાં બેઠેલા વલ્લભભાઈ તથા તેમની દીકરી હિરલબેન બહાર નીકળે તે પૂર્વેજ આગની લપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી જતા બંનેના ઘટનાસ્થળે જ દાઝી જવાથી મોત નિપજ્યાં હતાં.જયારે આ બનાવમાં કાર સવાર વલ્લભભાઈ ની પત્ની સતીબેનને પણ ગંભીર દાઝવાના ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તથા તાત્કાલિક બચાવ કામગીરી દ્વારા તેમને સારવાર અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. બીજી બાજુ કારમાં ભભૂકેલી અગનજવાળાઓ પિતા સાથે માસુમ પુત્રીને ભરખી ગયાના બનાવના પગલે કલ્યાણપુર સહિત દેવભૂમિ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

