ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ-અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-જામનગર દ્વારા તા. 11/7/26ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા અદાલત સહિતની તમામ અદાલતોમાં યોજાયેલી આ અદાલતમાં કુલ 6854 કેસોનો નિકાલ થયો હતો અને રૂ. 16,78,17,754ની રકમનું સેટલમેન્ટ થયું હતું.
આ લોક અદાલતમાં આશરે 24 જ્યુડિશિયલ ઓફિસરો અને 19 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં બેંકિંગ સંસ્થાઓ, ફાઇનાન્સ કંપનીઓ, પી.જી.વી.સી.એલ., ટ્રાફિક પોલીસ જેવી અનેક સંસ્થાઓનો સમાવેશ થાય છે.

લોક અદાલતમાં ફોજદારી સમાધાનપાત્ર કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના ચેકના કેસો, બેંક રિકવરી દાવાઓ, એમ.એ.સી.પી.ના કેસો, લેબર તકરારના કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, વીજળી અને પાણી બિલના કેસો (સમાધાનપાત્ર ન હોય તે સિવાયના), કૌટુંબિક તકરારના કેસો, જમીન સંપાદનના કેસો, સર્વિસ મેટરના પે અને એલાઉન્સિસ તથા નિવૃત્તિના લાભના કેસો તેમજ રેવન્યુ કેસો કે જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય તેવા તથા અન્ય સિવિલ કેસો જેવા કે ભાડુઆત, સુખાધિકાર હક, મનાઈ હુકમના દાવા, સ્પેસિફિક પરફોર્મન્સ વગેરે વિવિધ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

