નેત્રદીપ મેક્સિવિઝન આઇ હોસ્પિટલ, જામનગર દ્વારા પત્રકારોના સ્વાસ્થ્ય અને આંખની સુરક્ષા માટે એક ખાસ ‘આઇ અવેરનેસ પ્રોગ્રામ’ અને નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ જામનગર પત્રકાર મંડળના સભ્યો માટે યોજાયો હતો. આ કાર્યક્રમમાં નિષ્ણાત ડોકટરોએ પત્રકારોને આંખની યોગ્ય સંભાળ, વાંચવાની સાચી રીત, તેમજ કમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રીનથી આંખોને થતા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે આંખના સામાન્ય રોગો અને તેનાથી બચવાના ઉપાયો પણ સમજાવ્યા હતા.
કેમ્પમાં હાજર તમામ સભ્યોને હોસ્પિટલ તરફથી ખાસ ‘ફેમિલી હેલ્થ કાર્ડ’ આપવામાં આવ્યા હતા. આ કાર્ડ દ્વારા પત્રકાર પરિવારના કુલ ૪ સભ્યો નેત્રદીપ મેક્સિવિઝન આઇ હોસ્પિટલની જામનગર શાખામાં મફત આંખ તપાસ કરાવી શકશે.
આ કાર્યક્રમમાં પત્રકાર મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રાવલ, ઉપ પ્રમુખ સંજયભાઈ આઈ. જાની, મંત્રી કિંજલ કારસરિયા, નેત્રદીપ મેક્સિવિઝન આઇ હોસ્પિટલના આઇ સર્જન ડો. ચીનમન રંગાણી અને માર્કેટિંગ મેનેજર રાજ શીશાંગીયા સહિત અનેક પત્રકારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નેત્રદીપ મેક્સિવિઝન હોસ્પિટલની ટીમ અને જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારો તથા સભ્યોએ સહયોગ આપ્યો હતો.

