ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત આનંદીબહેન પટેલના રાજીનામા અંગે સોશિયલ મીડિયા પર અફવાઓ વહેતી થઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્યપાલ પદની જવાબદારીમાંથી મુક્ત થવાની રજૂઆત કરી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે. આ પ્રકારના દાવા વાયરલ થતાં જ લોકોમાં અને રાજકીય વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
તહેવાર નિમિત્તે સત્તાવાર રજા પર આગમન આનંદીબહેન પટેલની નજીકના વિશ્વસનીય વર્તુળોએ સ્પષ્ટતા કરી છે કે, રાજીનામાની આ તમામ વાતો તદ્દન પાયાવિહોણી છે અને તેઓ આજે પણ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદે યથાવત છે. આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે પરિવાર સાથે સમય વિતાવવા માટે તેઓ એક અઠવાડિયાની સત્તાવાર મંજૂર થયેલી રજા લઈને અમદાવાદ આવ્યા છે, જેને ખોટી રીતે રાજીનામા સાથે જોડી દેવામાં આવ્યું છે.
આ મામલે ચાલી રહેલી ખોટી અફવાઓ સંદર્ભે આનંદીબહેન પટેલ ટૂંક સમયમાં સ્થિતિ સ્પષ્ટ કરી શકે છે. અમદાવાદ ખાતે પરિવાર સાથે એક સપ્તાહનો સમય વિતાવ્યા બાદ તેઓ ફરી ઉત્તર પ્રદેશ પરત ફરશે અને રાજ્યપાલ તરીકેની પોતાની બંધારણીય જવાબદારીઓ નિયમિતપણે ચાલુ રાખશે.

