ભારતનાં ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટેના કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ઉક્ત ચૂંટણીઓ તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે. ભારતના ચૂંટણીપંચના તા.૦૨/૦૯/૧૯૯૪ના હુકમથી ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્ર, પેમ્ફલેટ, ચોપાનીયાનાં છાપકામ ઉપર નિયંત્રણ મુકવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના તમામ ખાનગી મુદ્વણાલયોના માલિકો, સંચાલકોને તથા ઝેરોક્ષ કે અન્ય રીતે નકલો છાપનારાઓને જાણ કરવામાં આવે છે કે, ચૂંટણી અંગેના કોઇપણ સાહિત્ય ચોપાનીયા, ભીતપત્ર, પેમ્ફલેટ કે આવી અન્ય સામગ્રી ઉપર મુદ્વક અને પ્રકાશનના નામ અને પુરા સરનામાની વિગતો અવશ્યપણે છાપેલ હોવા જોઇશે. ભારતના ચૂંટણીપંચના તા.૦૨/૦૯/૧૯૯૪ના હુકમની જોગવાઇ હેઠળ નિયત નમુના-ક માં એકરારનામું પ્રકાશક પાસેથી મુદ્વકે બે નકલમાં મેળવી તેની એક નકલ ઉપરમાં જણાવ્યા વિગતેના તેમણે કે તેમના પ્રતિનિધિએ મુદ્વીત કરેલ(છાપેલ દસ્તાવેજોની) ચાર નકલો સાથે નીચે સહી કરનારને દિવસ-૩માં મળી જાય તે રીતે રજૂ કરવાની રહેશે. આવી મુદ્વીત સામગ્રી અને એકરાર પત્ર સાથે મુદ્વકે છાપેલા દસ્તાવેજોની નકલોની સંખ્યા અને તેના મુદ્વણ કામ અંગે થયેલ ખર્ચને લગતી માહિતી પણ નિયત નમુના-ખ મુજબ રજૂ કરવાની રહેશે.
ભારતના ચૂંટણીપંચની આ અંગેની સૂચનાઓના કોઇપણ ઉલ્લંઘનને ખુબ ગંભીરતાથી જોવામાં આવશે અને યોગ્ય કેસોમાં રાજ્યના પ્રવર્તમાન કાયદાની જોગવાઇ અન્વયે મુદ્વણાલયનું લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરવા જેવા કડક પગલા લેવામાં આવશે. જેની તમામ સંબંધકર્તાઓએ નોંધ લેવી.
ઉક્ત અખબારી યાદીમાં નિર્દિષ્ટ કરેલ સૂચનાઓ સમગ્ર જૂનાગઢ જિલ્લાના વિસ્તારમાં તાત્કાલીક અસરથી અમલમાં આવશે અને તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ રચિત રાજની યાદીમાં જણાવાયું છે.
