દિવ રહેતાં એકજ પરિવારના લોકો ટ્રાવેલ્સ બસમાં બેસીને વેલણ ગામે માતાજીના મંદિરે દર્શને જતાં હતાં. એ દરમિયાન ઉના નજીક આવેલ લામધાર ગામ પાસે ટ્રાવેલ્સ બસના ડ્રાઈવરે સ્ટેરીંગનો કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઇ ગયેલ જેમાં એકજ પરિવારના 8 સભ્યોને નાની મોટી ઈજા પહોંચતા તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અક્સ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ દિવમાં રહેતા એકજ પરિવારજના 17 જેટલાં સભ્યો દિવથી ટ્રાવેલ્સ બસમાં બેસી કોડીનારના વેલણ ગામે આવેલ સોઢવમાતાજીના મંદિરે દર્શને જતાં હતાં. ત્યારે ઉનાના લામધાર ગામ નજીક આવેલ પ્રાથમિક શાળા પાસે ટ્રાવેલ્સ બસ નં.જી જે 32 ટી 5104 ના ડ્રાઈવરે બસના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અચાનક બસ રસ્તા પર ફંગોળાઈ જઈ રસ્તાની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની જાણ આજુબાજુમાં થતા લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયેલા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા. આ અક્સ્માતમાં ભાવનાબેન લાલજીભાઈ ચુડાસમા, ગૌતમભાઈ લાલજીભાઈ ચુડાસમા, સુશીલાબેન જીતેન્દ્રભાઇ બારૈયા, પૂજાબેન જયેશભાઈ સોલંકી, જાગૃતીબેન ફુલબારીયા, જીતેન્દ્રભાઈ સાકરભાઇ બારૈયા, લાલજીભાઈ દેવગણભાઈ ચુડાસમા, તેમજ વીરાભાઈ પરાગભાઈ બારૈયા રહે. દિવ આ તમામ એકજ પરિવારના ભાઈઓ અને બહેનો આઠ વ્યકિતઓને માથામાં,હાથ, પગના ભાગે નાની મોટી ઈજા પહોંચી હતી. આ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જોકે આ અકસ્માતની ગંભીર ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી. આ અકસ્માતની જાણ ઇજાગ્રસ્તોના પરિવારજનોને થતાં હોસ્પિટલે દોડી ગયા હતાં


