મુંબઈ
રવિવારે મળેલી બેઠકમાં મહત્વનો ર્નિણય લેતા મહારાષ્ટ્ર કેબિનેટ રાજ્યમાં લોકાયુક્ત કાયદો લાવવા જઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે અમે લોકપાલની તર્જ પર મહારાષ્ટ્રમાં લોકાયુક્ત શરૂ કરવા માટે અન્ના હજારે સમિતિના અહેવાલને મંજૂરી આપી દીધી છે. હવે સરકાર વિધાનસભાના શિયાળુ સત્રમાં આ અંગે બિલ લાવશે. ભ્રષ્ટાચારને ડામવા માટે મહારાષ્ટ્રની શિંદે ફડણવીસ સરકારનો મોટો ર્નિણય માનવામાં આવી રહ્યો છે. લોકાયુક્ત કાયદો લાગુ થયા બાદ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ હોદ્દા પરના તમામ લોકો તેના હેઠળ આવશે. લોકાયુક્ત કાયદાને લઈને એક કમિટી બનાવવામાં આવશે, જેમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સ્તરના જજ સહિત પાંચ લોકોને સામેલ કરવામાં આવશે. આ મામલે વધુ માહિતી આપતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સરકાર આ સત્રમાં આ બિલ લાવશે. આ અંતર્ગત મુખ્યમંત્રી અને મંત્રીમંડળને લોકાયુક્તના દાયરામાં લાવવામાં આવશે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમને આ કાયદાનો એક ભાગ બનાવવામાં આવશે અને લોકાયુક્ત પાસે નિવૃત્ત ન્યાયાધીશો સહિત પાંચ લોકોની ટીમ હશે. આ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે અમે સંપૂર્ણ પારદર્શિતા સાથે સરકાર ચલાવીશું. અમે મહારાષ્ટ્રને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું, તેથી અમે રાજ્યમાં લોકાયુક્ત કાયદો લાવવાનો ર્નિણય કર્યો છે.


