ઘર વિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટ્ટીબધ્ધ છે. ઘર વિહોણા પરિવારોને પ્લોટ ફાળવવામાં આવે છે. ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માણાવદરમાં વિચરતી વિમુક્તિ જાતિના ઘર વિહોણા ૬૨ પરિવારોને રહેણાંક હેતું માટે ૧૦૦ વારના પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેમાં માણાવદરના લીલાવંતીબેનને સરકારશ્રી તરફથી ૧૦૦ વારનો પ્લોટ મળતા તેમની ખુશીનો પાર રહ્યો નથી. હવે તેમને પ્લોટ મળતા તેના પર પાક્કુ મકાન બનાવીશું તેમ જણાવ્યું હતું.
લીલાવંતીબેન કરશનભાઇ સોલંકી એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો આભાર કે વિના મૂલ્યે માણાવદરમાં પ્લોટ ફાળવી દીધો છે. વર્ષોથી માણાવદરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. બાદમાં દિકરાઓને કામ-ધંધા માટે જૂનાગઢ આવવાનું થયું. આથી જૂનાગઢમાં પણ ભાડાના મકાનમાં દિકરા સાથે રહું છું. ઘરનું ઘર બનાવવાનું સપનું તો હતું. પરંતુ તે સપનું સાકાર કરવું મુશ્કેલ હતું. ત્યારે મારૂ સપનું સરકારશ્રી દ્વારા સાકાર થઇ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિચરતી વિમુક્તિ જાતિના ઘર વિહોણા પરિવારોને માણાવદરમાં પ્લોટ ફાળવાયા છે. તેમાં મને પણ ૧૪ નંબરનો ૧૦૦ વારનો પ્લોટ ફાળવી દેવામાં આવ્યો છે. આ માટેનો હુકમ જિલ્લાના કલેક્ટરશ્રી રચિત રાજના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. તેનો સવિશેષ આનંદ છે. હવે આ પ્લોટ પર હું અને મારા દિકરા મકાન બનાવી અમારા પોતાના મકાનમાં રહેશું. તંત્ર દ્વારા માણાવદરમાં પ્લોટની માપણી કરીને સોપી દેવામાં આવ્યો છે. આમ, અમારા જેવા નાના માણસોની દરકાર લેવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માણાવદરમાં ઘર વિહોણા વિચરતી વિમુક્તિ જાતિના ૬૨ પરિવારોને કલેક્ટરશ્રી રચિત રાજના હસ્તે ૧૦૦ વારના પ્લોટ ફાળવણીના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે આ પરિવારોને મકાન બનાવવામાં પણ સરકારી સહાય મળી રહે તે માટેની કામગીરી કરવામાં આવશે.


