મુંબઈ
મુંબઈમાં રવિવારે જૈન સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધ ઝારખંડ સરકારના ‘શ્રી સમેદ શિખરજી’ને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાના ર્નિણય અને ગુજરાતના પાલિતાણામાં મંદિરની તોડફોડ સામે હતો. આ પ્રદર્શનમાં જૈન સમાજના સેંકડો લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે હાથમાં બોર્ડ અને ધ્વજ સાથે ફૂટ માર્ચ પણ કાઢી હતી. વિરોધમાં સામેલ મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું કે અમે પાલિતાણામાં મંદિરની તોડફોડ અને ઝારખંડ સરકારના ર્નિણયનો વિરોધ કરી રહ્યા છીએ. ગુજરાત સરકારે પગલાં લીધાં છે પરંતુ અમે તેમની (જેમણે મંદિરમાં તોડફોડ કરી) સામે કડક પગલાં લેવા માંગીએ છીએ. આ સાથે તેમણે કહ્યું કે આજે દેશભરમાં ૫ લાખથી વધુ લોકો રસ્તા પર છે. બીજી તરફ મહારાષ્ટ્રના નાસિક શહેરમાં શનિવારે જૈન સમુદાયે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ૧૦ દિવસમાં બીજી વખત આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં આવેલ પારસનાથ ટેકરી, જેને ‘સમ્મેદ શિખર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઝારખંડ સરકારે તેને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કર્યું છે. ઝારખંડ સરકારના આ ર્નિણય સામે જૈન સમુદાય પોતાનો વિરોધ કરી રહ્યો છે. દિગંબર જૈન ગ્લોબલ મહાસભાની યુવા વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ પારસ લોહરાએ જણાવ્યું હતું કે અન્ય સભ્યોની હાજરીમાં શહેરના અશોક સ્તંભ વિસ્તારમાં વિરોધના ચિહ્ન તરીકે સમુદાયના નવ લોકોએ તેમનું માથું મુંડાવ્યું હતું. આપણા સમુદાયના સભ્યો દ્વારા દેશભરના અનેક શહેરોમાં આવા આંદોલનો કરવામાં આવ્યા છે. જ્યાં સુધી ઝારખંડ સરકાર આ મુદ્દે પોતાનો ર્નિણય પાછો નહીં ખેંચે ત્યાં સુધી અમે શાંતિપૂર્ણ આંદોલન ચાલુ રાખીશું. અગાઉ, ૨૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ, જૈન સમુદાયના વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ વિરોધ રૂપે તેમની દુકાનો બપોરે ૨ વાગ્યા સુધી બંધ રાખી હતી. સમુદાયના એક પ્રતિનિધિમંડળે નાશિક જિલ્લા વહીવટીતંત્રને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું. શું છે સમગ્ર મામલો તે.. જાણો.. હકીકતમાં, ઝારખંડ સરકારે જૈન દિગંબર શ્વેતાંબર સમુદાયના પવિત્ર સ્થળ ભગવાન પારસનાથ પર્વતને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કર્યું છે. તે ‘શ્રી સમ્મેદ શિખરજી’ તીર્થસ્થાન તરીકે પણ ઓળખાય છે. ટુરિસ્ટ સ્પોટ જાહેર થયા બાદ અહીં હોટેલો પણ ખુલશે. જેના કારણે જૈન સમાજમાં રોષ છે. આનાથી આ પવિત્ર યાત્રાધામ પ્રદુષિત થશે તેવું જૈન સમાજનું માનવું છે. જેના કારણે આજે લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું છે. અહીં જૈન સમાજના ઋષિમુનિઓએ કહ્યું છે કે અમારી જે પણ માંગણીઓ હોય તેને શાંતિપૂર્ણ રીતે રાખો.


