Gujarat

તા.૫ ફેબ્રુઆરીના ગિરનાર પર્વતના પગથિયા ઉપર યાત્રાળુઓને જવા પર પ્રતિબંધ રહેશે      

અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા અન્વયે જૂનાગઢ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આગામી તા.૫ ફેબ્રુઆરીના અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા હોય  ગિરનાર પર્વતના પગથિયા ઉપર યાત્રાળુઓને જવા પર પ્રતિબંધ રહેશે.

      ગુજરાત સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.૫/૦૨/૨૦૨૩ના રોજ અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધાના કારણે ગિરનાર પર્વત ઉપર જતા યાત્રાળુઓને કારણે આ સ્પર્ધામાં ભાગ લેતા યુવક/યુવતીઓની ટુકડીઓને સ્પર્ધામાં અંતરાય કે ખલેલ ઉભી થવાની પુરેપુરી શક્યતા રહેલી હોય, એવા સંજોગોમાં ગિરનાર પર્વત ઉપર જતા યાત્રાળુઓના સંભવિત વિક્ષેપને દૂર કરવા તેમજ સ્પર્ધામાં ભાગ લેતા યુવક/યુવતીઓની ટુકડીઓને સંભવિત ખલેલ નિવારવાના હેતુ માટે આ સ્પર્ધા દરમિયાન ગિરનાર તળેટીથી અંબાજી તરફ જતા ગિરનાર પર્વતની સીડીના પગથીયા ઉપર આવવા-જવા માટે પ્રતિબંધ ફરમાવવા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.

         આ જાહેરનામા મુજબ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી.બાંભણિયાને મળેલી સત્તાની રૂએ તા.૫/૦૨/૨૦૨૩ના રોજ ૦૦-૦૦ કલાકથી બપોરના ૧૨ કલાક સુધી ગિરનાર તળેટીથી અંબાજી મંદિર તરફ જતા ગિરનાર પર્વતની સીડીના પગથીયા ઉપર સ્પર્ધકો સિવાયના અન્ય વ્યક્તિ/યાત્રાળુઓને ગિરનાર પર્વતની સીડીના પગથીયા દ્વારા ઉપર જવા કે નીચે ઉતરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યું છે.

         આ જાહેરનામું સ્પર્ધાના અધિકૃત અધિકારીશ્રીઓ/ સ્વયંસેવકોને સ્પર્ધા વ્યવસ્થામાં કાયદેસરની ફરજ બજાવનારને લાગુ પડશે નહીં.

        આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ-આંક-૨૨ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *