નવીદિલ્હી
શનિવારે બપોરે ઇક્વાડોર અને ઉત્તરી પેરુના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલ શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા ૧૪ લોકો માર્યા ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૮ માપવામાં આવી છે. ભૂકંપના જાેરદાર આંચકાના કારણે અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. એક્વાડોરના રાષ્ટ્રપતિ ગુઈલેર્મો લાસોએ એક ટિ્વટમાં જણાવ્યું હતું કે ઇમરજન્સી ટીમો અસરગ્રસ્તોને રાહત આપવા માટે કામ કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ગુયાસ પ્રાંતના બાલાઓ શહેરથી લગભગ ૧૦ કિલોમીટર (૬.૨ માઇલ) દૂર ૬૬.૪ કિમી (૪૧.૩ માઇલ) ની ઊંડાઇએ હતું. અધિકારીઓએ એમ પણ કહ્યું કે ભૂકંપમાં ઓછામાં ઓછા ૧૨૬ લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, ઈક્વાડોર સાથેની પેરુની ઉત્તરીય સરહદથી મધ્ય પ્રશાંત તટ સુધી આંચકા અનુભવાયા હતા. પેરુવિયન વડા પ્રધાન આલ્બર્ટો ઓટારોલાએ જણાવ્યું હતું કે એક્વાડોર સાથેની સરહદ પરના ટુંબેસ ક્ષેત્રમાં એક મકાન ધરાશાયી થતાં ચાર વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. પ્યુઅર્ટો બોલિવરનું મરીન મ્યુઝિયમ ડોકથી અલગ થઇ ગયું છે, ઇક્વાડોરના માચાલાને હચમચાવી દેનારા ભૂકંપ પછી આંશિક રીતે પાણીમાં ડૂબી ગયું છે. ઇક્વાડોર ભૂકંપ માટે સંવેદનશીલ છે. ૨૦૧૬માં ભૂકંપના કારણે ૬૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા.


