લોકોના ઘરે સુથારી કામ કરતી વખતે પોતાનું નવું ઘર કરવાનું દિવા સ્વપ્ન જોઈને ખુશ થતો, આજે સરકારે મારુ ઘર બનાવીને એ ખુશીનો સાક્ષાત્કાર કરાવ્યો છે.
***
ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૧.૫૬ લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ
***
પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૧૧.૫૬ લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ ૭.૫૦ લાખ આવાસો, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૪.૦૬ લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે.
શહેરી વિસ્તારના લોકોને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કરવા તેમજ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવી કિંમતે ઘર મળી રહે તે હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) જાહેર કરી હતી. ત્યારબાદ, ગ્રામીણ વિસ્તારના લોકોને પોતાનું ઘરનું ઘર મળે તેવા ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૧૬માં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અમલમાં મૂકવામાં આવી હતી. જે અંતર્ગત ખેડા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૨૧,૪૬૬ આવાસોનું નિર્માણ થયું છે.
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં વાંઠવાળી ગામમાં ખૂબ જ નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા સંજયભાઈ ગોહેલને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. તે જણાવે છે કે, આ આવાસ યોજના આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ઘરાવતા લોકોના સપના સાકાર કરતી ચિંતામણી સમાન છે.
સંજયભાઈની ઉમર ૪૨ વર્ષ છે અને તે વ્યવસાયે સુથારી કામ કરે છે. તેઓ પોતાના જુના ઘરના વિશે જણાવતાં કહે છે કે તેમનું જૂનું ઘર માટીનું હતું જેમાં વરસાદમાં માટીના ધોવાણના કારણે ખુબ જ તકલીફ પડતી હતી. ગરમીમાં પણ વધુ ગરમીનો સામનો કરવો પડતો હતો. પરિવારના ૮ લોકો નાના ઘરમાં કઈ રીતે રહે તે સમસ્યા વધવા લાગી. સમય વિતતો ગયો છોકરાઓ મોટા થતા ગયા પણ નાના અને કાચા ઘરમાં કોણ પોતાની છોકરી આપે?
પછી એક દિવસ તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની જાણકારી પ્રાપ્ત થઇ તેઓ જરૂરી કાગળ લઇ તાલુકા પંચાયત કચેરી મહેમદાવાદ ગયા ત્યાં તેમને એ ફોર્મ પ્રાપ્ત થયું. અને તેમણે એ ફોર્મ ભરી આપ્યું અને થોડાક જ દિવસોમાં ચાલુ થયું તેમના સપના ઘરનું બાંધકામ.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રથમ હપ્તો જમા થતાં ખુશીની ભાવનાઓ ઘરના લોકોમાં જન્મી અને તેઓ વધુમાં જણાવે છે કે ઘરનો પ્રથમ હપ્તો પ્રાપ્ત થતા તેમના સપનાનું બાંધકામ ચાલુ થયું હોય એમ લાગ્યું ત્યારબાદ બીજો હપ્તો પ્રાપ્ત થતા સપનામાં જોયેલું ઘર સાકાર થતું દેખાયું અને ત્રીજો હપ્તો પ્રાપ્ત થતા આખું સપનું સાકાર થયું. સરકાર દ્વારા પહેલો હપ્તો તેમને ત્રીસ હજારનો મળ્યો, બીજો હપ્તો પચાસ હજારનો અને છેલ્લો હપ્તો ચાલીસ હજારનો મળ્યો અને તેમનું ઘર પાકું બન્યું અને સપનું સાકાર થયું.
વધુમાં સંજય ભાઈ જણાવે છે કે જયારે તેઓ બીજાના ઘરે સુથારી કામ કરવા જતા ત્યારે તેઓ પણ પોતાના ઘર માટે કેવું ફર્નિચર બનાવશે તેમ વિચારતા હતા કોઈ વ્યક્તિ નવા ઘરમાં ફર્નિચર નવું બનાવે તો તેના નવા ઘરની મોઢા પર ખુશી જોઈ વિચારતા કે મારુ ઘર ક્યારે બનશે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પારદર્શક સરકારની કામગીરીના કારણે તેમને પોતાના ઘરનું સપનું સાકાર થયું. આજે પોતાનું ઘર બનતા તેઓની સામાજીક સ્થિતિ પણ સુધરી છે અને સગા-સંબંધીઓ ઘરે રોકાય છે અને છોકરાઓ માટે સારા લગ્નના માંગા પણ આવે છે.


